સુરતમાં લાઉડ સ્પીકર વગાડવા બાબતે પોલીસ કમિશનરનું જાહેરનામું, 17 જુલાઈ સુધી કડક અમલ કરવાનો રહેશે
સુરત : હાલમાં થોડા સમયથી દેશભરમાં લાઉડ સ્પીકરનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે. એ ઉપરાંત ઉપરાછાપરી બનતી આવેલી કેટલીક ઘટનાઓને પગલે હિંદુ-મુસ્લિમ પ્રજાઓ વચ્ચે શાંતિ ડહોળાવાના સમાચારો સામે આવતા રહ્યા છે. ગઈ કાલે સુરતના (Surat) એક વિસ્તારમાં પણ મોડી રાત્રે બે કોમના જૂથો વચ્ચે છમકલું થયું હતું. આ સમયે સુરત પોલીસ કમિશ્નરે લાઉડ સ્પીકર (Loud Speaker) બાબતે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે.
સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તેમજ કાયદો અને વ્યવસ્થા બરકરાર રહે તે માટે એક જાહેરનામા અન્વયે જરૂરી હુકમો બહાર પાડયા છે. જે મુજબ રાત્રે ૧૦.૦૦ વાગ્યાથી સવારના ૬:૦૦ વાગ્યા સુધીના સમય દરમિયાન હોર્ન, ધ્વની, પ્રદુષણ પેદા કરતા બાંધકામ અંગેના સાધનો, ફટાકડા ફોડવા અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં. આ ઉપરાંત, નિયત કરેલા ધ્વનિ પ્રદુષણ નિયમો અન્વયે ધ્વનિની માત્રાના ધોરણે લાઉડ સ્પીકરોનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત હોસ્પિટલો, શૈક્ષણિક, સંસ્થાઓ, અદાલતો કે ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ધેરાવામાં માઈક સીસ્ટમનો ઉપયોગ કરવો નહી. એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમી લાગણી દુભાય તેવા ઉચ્ચારણો કે ગાયનો માટે માઈક સીસ્ટમનો ઉપયોગ કરવો નહી. સક્ષમ અધિકારીની પરવાનગી આપેલી હોય તે સિવાય કોઇ પણ સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં. રસ્તાની ડાબી બાજુ ચાલવા કે ટ્રાફિકને અડચણ થાય તેવા કૃત્યો કરવા નહી. ડી.જે. સીસ્ટમની એમ્બીઅન્ટ એર કવોલીટી સ્ટાન્ડર્ડ હોવી જોઇએ. માઈક સીસ્ટમ વગાડવા માટે નિયત શરતોને આધીન અધિકૃત અધિકારી પાસેથી લેખિત પરવાનગી મેળવી છુટછાટ લઇ શકાશે. આ જાહેરનામાનો અમલ તા.૧૭/૦૭/૨૦૨૨ સુધી રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
ગઈકાલે મોડી રાત્રે શહેરના ખંડેરાવપુરા વિસ્તારમાં વાહન અકસ્માત બાબતે બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. મોડી રાત્રે ગાડીની ટક્કર લાગવા બાબતે મામલો બીચક્યો હતો, જેના પરિણામે બે જૂથો સામસામે આવી ગયા હતા. સામસામી ગાળાગાળી અને પથ્થરમારા બાદ બન્ને પક્ષોએ એકબીજા તરફ કાચની બોટલો પણ ફેંકી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાના સમાચાર મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર તરત જ નિયંત્રણ મેળવી લીધું હતું. ખુદ પોલીસ કમિશ્નર (Police Commissioner) અજયકુમાર તોમરે પણ સ્થળ ઉપર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અગાઉ પણ બે જૂથો વચ્ચે ઘર્ષણ થવાની ઘટના બની હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp