દિગ્ગજ કોંગી નેતાની પત્નીનો હાઈકમાન્ડને પત્ર : ‘મારા પતિના મહિલાઓ સાથે અનૈતિક સબંધો, પાર્ટીને ખતમ કરી રહ્યા છે’
ગુજરાત ડેસ્ક: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશમા સોલંકી વચ્ચે લાંબા સમયથી ગૃહકલેશ ચાલી રહ્યો છે. જે મામલે બંનેએ થોડા મહિનાઓ પહેલા વર્તમાન પત્રોમાં જાહેર નોટીસ પણ પાઠવી હતી. હવે આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
રેશમા સોલંકીએ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીને સંબોધીને એક પત્ર લખ્યો છે અને ભરતસિંહ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં નાની ઉંમરની મહિલાઓ સાથે અનૈતિક સબંધો તેમજ જાણીજોઈને કોંગ્રેસને સત્તા પરથી દૂર રાખવાના પ્રયત્નો કરવામાં આવતા હોવાનું કહેવામાં આવ્યું છે.
રેશમા પટેલના હસ્તાક્ષર સાથે વાયરલ થયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, જે મહિલાઓ સાથે ભરતસિંહ સોલંકીના અનૈતિક સબંધો હતા, તે જ મહિલાઓને ટિકિટ પણ અપાવી અને સારી મહિલાઓને આગળ આવતા હંમેશા રોકી છે. આ મહિલાઓ સાથે તેઓ હંમેશા ચેટીંગ કરતા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચોંકાવનારો દાવો કરતા પત્રમાં કહેવામાં આવ્યું કે, તેઓ 22 વર્ષથી લઈને તેમની ઉંમરની મહિલાઓ સાથે શારીરિક સબંધો રાખે છે.
તેમણે પતિ વિરુદ્ધ આક્ષેપ કરતા કહ્યું કે, તેઓ ઘરે પણ રાત્રે બેડરૂમમાં જઈને અંદરથી રૂમ બંધ કરીને પાર્ટીની 8-10 મહિલાઓ સાથે ગંદા મેસેજો મોકલતા રહે છે. તેમણે કહ્યું કે, સાયબર ક્રાઈમમાં તેમના ફોન અને ખુદ બનાવેલા ફેક અકાઉન્ટની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
તેમણે કહ્યું કે, તેમની ઈચ્છા વિરુદ્ધ તેમના લગ્ન કરવામાં આવ્યા હતા અને જાણીજોઈને તેમનું જીવન ખરાબ કરી દીધું અને પત્ની થવાનો કોઈ અધિકાર આપ્યો નહીં. તેમણે અમિત ચાવડા પર પણ રાજકીય કારકિર્દી બનાવવા માટે મૂક સહમતિ આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે જેઓ ઘરની મહિલાઓને ન્યાય ન અપાવી શકે તેઓ ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે શું કરશે?
રેશમા પટેલે આરોપ લગાવતા કહ્યું કે, ભરતસિંહ રાજકારણમાં માત્ર માધવસિંહ સોલંકીના કારણે છે અને તેમના માટે પાર્ટી માત્ર પોતાના ગુનાઓ ઢાંકવા માટેનો અડ્ડો બનીને રહી ગઈ છે. ઉપરાંત, તેમણે ભરતસિંહ પોતાના રાજકીય પદનો દુરુપયોગ કરીને પાર્ટીને નુકસાન કરતા હોવાનું કહીને ઉમેર્યું કે, તેમણે ગુજરાતના મુખ્યમંત્રી પદનો ચહેરો બનવું છે અને તેવું નહીં થાય તો તેઓ કોઈને સીએમ બનવા નહીં દે.
આ પત્રની સત્યતા અંગે ઉઠતા સવાલો વચ્ચે રેશમા સોલંકીનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ કહે છે કે જે પત્ર વાયરલ થયો છે તે તેમણે જ લખ્યો છે અને પોતે ન્યાયની માગ કરે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp