ઓમિક્રોન ડેલ્ટા વેરિયન્ટ કરતા વધુ ઝડપથી ફેલાતો હોવાનો ખુલાસો,પરંતુ આ બાબતે આશા જગાડી
નવી દિલ્હી : કોરોનાના નવા વેરિયન્ટને લઈને રોજ નવા-નવા ખુલાસા થઇ રહ્યા છે. હવે એક અહેવાલ અનુસાર એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ઓમિક્રોન (Omicron) કોરોનાની વિનાશકારી બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા (Delta) વેરિયન્ટ કરતાં પણ પાંચ-દસ નહીં પરંતુ 70 ગણી ઝડપથી ફેલાય છે. ભારતમાં પણ સંક્રમિત લોકોની સંખ્યા લગભગ 1૦૦ની નજીક પહોંચી ગઈ છે.
ઓમિક્રોનના કેસ ભલે વધી રહ્યા હોય પરંતુ રાહતની વાત એ છે કે દર્દીઓ સામાન્ય દુખાવા અને તાવની દવા લઈને પણ સ્વસ્થ થઈ રહ્યાં છે. ઓમીક્રોનના લક્ષણવાળા દર્દીઓમાં ગળામાં ખંજવાળ, શરીરમાં દુખાવો, સામાન્ય તાવ જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે.
મુંબઈના અંધેરીની સેવન હિલ્સ હોસ્પિટલમાં ઓમીક્રોનના દર્દીઓની સારવાર ચાલી રહી છે .અહીં લગભગ 14 દર્દી દાખલ થયા હતા. જેમાંથી 8 દર્દીઓમાં કોઈ લક્ષણ ન હતા. 14 માંથી 13 દર્દીઓ એકદમ સ્વસ્થ છે. સારવાર કરનાર ડોક્ટરે કહ્યું કે, કોઈ પણ દર્દીની સ્થિતિ વધુ બગડી નથી. લક્ષણવાળા દર્દીઓ દુ:ખાવા અને તાવની સામાન્ય દવાથી સ્વસ્થ થઈ રહ્યાં છે. તેમજ લક્ષણ વિનાનાં દર્દીઓને મલ્ટી વિટામિન્સ આપવામાં આવી રહ્યાં છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, સંક્રમણથી ફેફસા પર કોઈ અસર થઈ હોવાનું સામે આવ્યું નથી. બધા જ દર્દીઓના સીટી સ્કેન કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના 32 કેસમાંથી 25 એટલે કે, 78% દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હતા. જે બે દર્દીઓએ રસી લીધી ન હતી, તેમનામાં પણ કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી.
જેમણે કોરોના વેક્સિન લીધી હોય તેઓ પણ સંક્રમિત થાય તો ગંભીર રીતે બીમાર થતા નથી. નિષ્ણાતોના મત અનુસાર, રસી સંક્રમિત વ્યક્તિને ગંભીર બીમારીથી બચાવે છે. જેના કારણે રસી લેવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp