ડાંગ : ખ્રિસ્તી ધર્મ પાળનારા 70 દંપતીની હિંદુ ધર્મમાં ઘરવાપસી
સુબીર: ડાંગ તેમજ તેની આસપાસના આદિવાસી વિસ્તારોમાં હિંદુઓના થતા ધર્માંતરણને લઈને હિંદુ સંગઠનો અવાજ ઉઠાવતા રહે છે અને વટલાયેલા હિંદુઓને સમજાવીને ઘરવાપસી કરાવવાનું અભિયાન પણ છેલ્લા કેટલાક સમયથી જોર પર રહ્યું છે. ત્યારે ડાંગમાં ફરી એકવાર 70 હિંદુ પરિવારોની ઘરવાપસી કરાવવામાં આવી હતી.
વર્ષના અંતિમ દિને ડાંગમાં અગ્નિવીર હિંદુ સંગઠન દ્વારા ડાંગના સુબીર તાલુકાના પાંઢરમાળ ખાતે વટલાયેલા 70 જેટલા પરિવારોને હવન-પૂજા કરાવીને ફરી હિંદુ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો.
આ પરિવારોને વૈદિક દીક્ષા આપી હિંદુ ધર્મ વિશે સમજાવી હવન-પૂજન કરાવવામાં આવ્યું હતું અને મૂળ ધર્મમાં વાપસી કરાવવામાં આવી હતી. ધર્મમાં પાછા આવેલા લોકોએ કહ્યું હતું કે તેમના વડવા પણ મૂળ હિંદુ જ હતા અને તેઓ કોઈ પણ દબાણ વગર પોતે મૂળ ધર્મ અપનાવે છે અને જોડાઈ રહેવા માટે સંકલ્પબદ્ધ છે.
અગ્નીવીર સંસ્થાએ જણાવ્યું કે, હિંદુ ધર્મમાં પાછા આવેલામાંથી ઘણા લોકો છેલ્લા 1૦ થી 20 વર્ષથી ખ્રિસ્તી ધર્મ પાળતા હતા. સંસ્થાના પ્રમુખે જણાવ્યું કે, તેઓ ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં હિંદુમાંથી વટલાઈને ખ્રિસ્તી ધર્મ પાળનારાઓને સમજાવીને શાસ્ત્રોક્ત વિધિથી ફરી હિંદુ ધર્મમાં લાવવાનું કામ કરે છે. સંસ્થાએ છેલ્લા પાંચ વર્ષમાં પાંચ હજાર લોકોને હિંદુ ધર્મમાં વાપસી કરાવી હોવાનું જાણવા મળ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp