ગુજરાત ડેસ્ક : ગાંધીનગરમાં ચૂંટાયેલા 181 ધારાસભ્યોની શપથવિધિ પૂર્ણ થઈ છે. એક ધારાસભ્ય શપથવિધિમાં ગેરહાજર રહ્યાં હતાં. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા ગેરહાજર રહ્યા હતાં. જયેશ રાદડીયા વિદેશ હોવાથી શપથવિધિમાં હાજર રહી શક્યા નહી. આગામી દિવસોમાં ધારાસભ્ય તરીકે જયેશ રાદડીયા શપથ લેશે. ચૂંટાયેલા ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે શપથ લેવડાવ્યા છે. તમામ ધારાસભ્યોની શપથવિધિ 2.30 કલાક કરતા વધુ સમય ચાલી હતી. કેટલાક ધારાસભ્યોએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતાં.
થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ ભાજપના પ્રાથમિક સભ્યે પદેથી રાજીનામું આપ્યુ છે. વ્યવસ્થાના ભાગ રૂપે પક્ષના પ્રાથમિક સદસ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે. સી આર પાટીલ, ભારતીબેન શિયાળ, રત્નાકરજીની હાજરીમાં તેમણે રાજીનામું આપ્યું છે. પ્રદેશના મહામંત્રીશ્રીઓ, પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને ધારાસભ્યો હાજર રહ્યા હતાં. તમને જણાવી દઈએ કે, શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યો છે ત્યારે બંધારણીય વ્યવસ્થાવા ભાગરૂપે અધ્યક્ષને પક્ષમાંથી રાજીનામુ આપવું પડતું હોય છે.
શંકર ચૌધરીને યુવા વયે સક્રિય રાજકારણમાં નરેન્દ્રભાઈ મોદી લાવ્યા હતા. યુવા શંકર ચૌધરી વર્ષ 1997 માં તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે રાધનપુર બેઠક પર ચૂંટણી લડ્યા હતા. તે સમયે તેઓ RSS ના નગર કાર્યવાહ હતા. તેના બાદ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી નરેન્દ્ર મોદીએ શંકર ચૌધરીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે ચૂંટણીમાં હાર બાદ પણ શંકર ચૌધરી ત્યાં જ સક્રિય રહ્યા હતા. ચૂંટણી હાર્યા બાદ તેમને ભાજપ યુવા મોરચાના જિલ્લા મહામંત્રી બનાવાયા હતા. તેમની આ પછીની કારકિર્દી પર નજર કરીએ તો...
વર્ષ 1998 માં રાધનપુર બેઠકથી ધારાસભ્ય બન્યા
ત્યારબાદ પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા હતા
કોંગ્રેસ શાસિત બનાસ બેંકમાં ડિરેક્ટર બન્યા
2004-05 માં ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ બન્યા
2007-08 માં બનાસ બેંકના ચેરમેન બન્યા ત્યારે બેંક ફડચામાં હતી. બેંકને નાણાંકીય ગેરરીતિ માથી બહાર કાઢી મજબૂત કરી
વર્ષ 2009 માં પ્રદેશ ભાજપના મહા મંત્રીની જવાબદારી મળી
વર્ષ 2009 માં GSC બેંકના વાઈસ ચેરમેન બન્યા, જે હજુ પણ યથાવત છે
વર્ષ 2014 માં આનંદીબેન પટેલ સરકારમાં આરોગ્ય રાજ્યમંત્રી બન્યા