શિવસેનાની ‘અસલ તુમાખી’ : ગુજરાતમાં ડાંડિયા રમવાવાળા સમજી લે, મહારાષ્ટ્રમાં તલવારો ટકરાશે! મુખપત્ર ‘સામના’માં આકરા તેવર
Maharashtra Political Crisis : એકનાથ શિંદેની આગેવાનીમાં કેટલાક ધારાસભ્યો શિવસેના હાઈ કમાન્ડ સામે બળવો કરીને ગુજરાત નાસી આવ્યા, અને સુરતની એક હોટેલમાં આશરો લીધો, એ પછીના ઘટનાક્રમમાં શિવસેના જેના માટે પ્રખ્યાત છે, એવા આક્રમક તેવર દેખાયા નહોતા. શિવસેનાને ઓળખનારા માનતા હતા કે ટૂંક સમયમાં જ શિવસૈનિકો રસ્તાઓ પર ઉતરી આવશે અને ‘સામના’માં શિવસેનાનો વાઘ ત્રાડ પાડશે જ! આખરે એવું જ થયું છે. શિવસેનાએ આખા ઘટનાક્રમને અનુલક્ષીને તુમાખીપૂર્ણ ભાષામાં ગુજરાતના ડાંડિયારાસનો ઉલ્લેખ કર્યો છે.
પોતાના મુખપત્ર ‘સામના’માં શિવસેનાએ લખ્યું છે કે, “માતાનું દૂધ વેચી નાખે એવી ઓલાદો શિવસેનામાં નહિ હોય, એવું બાળાસાહેબ હંમેશા કહેતા! શિવસેના મા છે, અને માતાની કસમો ખાઈને રાજનીતિ કરનારાઓએ માતાના દૂધનું બજાર ખોલી નાખ્યું છે!” જો કે આવું કહેતી વખતે શિવસેના એક વાત ભૂલી ગઈ હતી કે ખુદ પાર્ટીએ જ બાળાસાહેબના કટ્ટર પ્રતિસ્પર્ધીઓ સાથે સરકારમાં ભાગબટાઈ કરી છે! શિવસેનાએ ભાજપ પર આકરા શરસંધાન કરતા કહ્યું હતું કે અઢી વર્ષ પહેલા અજીત પવાર પ્રકરણ થયેલું, અને હવે એકનાથ શિંદેનો ઉપયોગ કરીને ભાજપ અઘાડી સરકારને પાડવાની કોશિષ કરી રહ્યો છે.
વધુમાં શિવસેનાએ પોતાના મુખપત્રમા કહ્યું હતું કે, “મહારાષ્ટ્ર સાથે ગદ્દારી કરનારાઓનું શું થશે? ધર્મનો મુખવટો પહેરીને અધર્મનો સાથ આપનારાઓને જનતા માફ નહિ કરે! સંકટો અને તોફાનોનો સામનો કરવાની તો શિવસેનાની આદત છે. ગુજરાતની ભૂમિ પર ફડફડાઈ રહેલા લોકો સમજી લે કે ત્યાં ભલે એ લોકો ડાંડિયા રમી રહ્યા છે, પણ મહારાષ્ટ્રમાં તલવારો ટકરાશે, એ નક્કી જ છે!”
શિવસેનાના આ લેખમાં ખુલ્લેઆમ હિંસાની ધમકી વર્તાઈ રહી છે. જો કે વાત આટલેથી અટકી નથી. શિવસેના પ્રવક્તા સંજય રાઉતના ઘરની બહાર જે પોસ્ટર મારવામાં આવ્યું છે, એ પણ તુમાખીથી ભરપૂર છે.
શિવસેના પ્રવક્તા સંજય રાઉતના ઘરની બહાર પોસ્ટ લગાડવામાં આવ્યું છે, જેના પર લખાયું છે કે ‘તેરા ઘમંડ તો ચાર દિન કા હૈ પગલે, હમારી બાદશાહી તો ખાનદાની હૈ...’ આ પોસ્ટર વાંચતા સાફ સમજાય છે કે એમાં એકનાથ શિંદેને ઉદ્દેશીને લખાયું છે. એકનાથ શિંદે થાણેમા ભારે વર્ચસ્વ ધરાવે છે. શિવસેના પણ થાણે વિસ્તારમાં એકનાથ શિંદેની સામે પડી શકે એમ નથી. એવા સંજોગોમાં સંજય રાઉતે પોસ્ટર ચિપકાવીને સંતોષ માની લીધો હોય એમ લાગે છે.
સંજય રાઉત ઉપર ઉપરથી તો સ્વસ્થ હોવાનો દેખાડો કરી રહ્યા છે, પણ હકીકત એ છે કે આખી પરિસ્થિતિ જે રીતનો વળાંક લઇ ગઈ છે, એ રાઉતથી સહન નથી થઇ રહ્યું. મિડીયાએ જ્યારે બળવાખોર ધારાસભ્યો આસામ પહોંચ્યા હોવા અંગે પૂછ્યું, ત્યારે રાઉતે કહ્યું, “ત્યાં (આસામમાં) કાઝીરંગા નેશનલ પાર્ક છે. એ લોકોએ પાર્કની વિઝીટ કરવી જોઈએ. સાથે જ ભારતના બીજા પ્રવાસનસ્થળોએ પણ જવું જોઈએ!” બીજી તરફ એકનાથ શિંદે કોઈ પણ પ્રકારની ફાલતુ ભાષા કે દાવાઓ કરવાથી દૂર રહ્યા છે. આટલા મોટા ઘટનાક્રમ બાદ પણ તેમના નિવેદનો ખાસા સ્પષ્ટ અને સ્વસ્થ જણાયા છે. લેટેસ્ટ અપડેટ મુજબ ગઈકાલે સુરતની હોટેલમાં રોકાયેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્યો મોડી રાત્રે સુરત એરપોર્ટથી ફ્લાઈટ પકડીને આસામના ગુવાહાટી પહોંચી ગયા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp