રોડ પર પાણી ભરાયા તો કોર્પોરેટર મળસ્કે 4.30 વાગ્યે જાતે સફાઈ માટે ઉતર્યા! સુરતની ઘટના
સુરત : મીડિયાએ હંમેશા સરકારમાં બેઠેલાઓને જાગતા રાખવાનું કામ કરવાનું હોય છે. આ માટે વારંવાર સરકાર વિરોધી સ્ટેન્ડ પણ લેવું પડતું હોય છે. એનો અર્થ એવો નથી હોતો કે મીડિયા સરકારમાં બેઠેલ પક્ષનું વિરોધી છે! એ સાથે જ એટલો ખ્યાલ પણ રાખવો જ જોઈએ કે સરકારમાં બેઠેલ કોઈ વ્યક્તિ સારું કામ કરે, ત્યારે એની સરાહના થાય. આજે એવો જ એક બનાવ સામે આવ્યો છે.
ગઈકાલે મોડી રાતથી સુરતમાં પવન સાથે વરસાદ શરુ થયો હતો. જેને પરિણામે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ શિવાજી સર્કલથી ગંગેશ્વર મહાદેવ તરફ જતા રોડ ઉપર ડિવાઈડર ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું હતું. આ રોડ પર વારંવાર પાણી ભરાઈ જવાની સમસ્યા છે જ. આ વિસ્તારમાંથી ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર ધર્મેશભાઈ વાણિયાવાળાએ મળસ્કે જોયું કે રોડ પર જોખમી રીતે પાણીમાં ગરકાવ છે. એટલે એમણે તાત્કાલિક ઝોનલ અધિકારી વસાવા સાહેબને જાણ કરી હતી. વસાવા સાહેબ ત્વરિત હરકતમાં આવીને સ્ટાફના માણસોને તુરંત રોડ ઉપર ભરાયેલા વરસાદીપાણીના નિકાલ માટે મોકલી આપ્યા હતા.
આ તરફ SMC સ્ટાફ એ સાથે જ કોર્પોરેટર ધર્મેશભાઈ પોતે પણ કામે લાગ્યા હતા અને ગટરના ઢાકણોમાં ભરાયેલ કચરો સાફ કરીને પાણીના નિકાલની વ્યવસ્થા કરી હતી. મળસ્કે 4:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીમાં રોડ ઉપર ભરાયેલ પાણીનો નિકાલ કરી દેવાયો હતો.
કોર્પોરેટરના સારા કામની વાત તો થઇ, પણ એ સાથે જ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ચૂંટાયેલા કોર્પોરેટર્સે મળીનો આ પ્રશ્નનો કાયમી ઉકેલ પણ લાવવો જ જોઈએ. સુરતનો અડાજણ વિસ્તાર આમ તો ઉચ્ચ મધ્યમવર્ગીય વિસ્તાર છે. પરંતુ સહજ સુપર સ્ટોરવાળો રસ્તો તેમજ ગંગેશ્વર મંદિર રોડ પર અમુક ભાગ નીચાણવાળો (ઝાબ) હોવાને કારણે જ્યારે પણ ભારે વરસાદ થાય, ત્યારે આ વિસ્તારોમાં બે-બે ત્રણ-ત્રણ ફીટ પાણી ભરાઈ જવાની કોઈ નવાઈ નથી. આને કારણે આ વિસ્તારમાં રહેતા રહીશો અને અહીંથી પસાર થનારા વાહનચાલકોએ હાલાકી ભોગવવી પડે છે અને ટ્રાફિક જામના પ્રશ્નો પણ સર્જાય છે. હવે આ પ્રશ્નનો કોઈ ઉકેલ આવે એ જરૂરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp