કપિલ શર્મા શોમાં શૂટિંગ માટે ગયા હતા સ્મૃતિ ઈરાની, પણ એવી ઘટના બની કે શૂટિંગ વિના જ પરત ફર્યા
ટીવી ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં અનેક ફિલ્મી સિતારાઓ પોતાની ફિલ્મના પ્રમોશન માટે જાય છે. આ જ શોમાં મોદી સરકારના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ મહેમાન તરીકે આવવાના હતા. પરંતુ હવે આ શૂટિંગ થશે કે નહીં તે મામલે અસમંજસની સ્થિતિ છે.
સ્મૃતિ ઈરાની દ્વારા લિખિત પુસ્તક ‘લાલ સલામ’ 29 મી નવેમ્બરના રોજ લોન્ચ થવા જઈ રહ્યું છે. આ જ પુસ્તકના પ્રમોશન માટે તેઓ પ્રખ્યાત કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં મહેમાન તરીકે જોવા મળવાના હતા, પરંતુ હવે આ તેમ થઇ શકશે નહીં. શૂટિંગ સેટ પર બનેલી એક ઘટના બાદ સ્મૃતિએ શૂટિંગ રદ કરી દીધું હતું.
રિપોર્ટ્સ અનુસાર, સ્મૃતિ ઈરાની જ્યારે શૂટિંગ માટે સેટ પર ગયા તો ત્યાંના સિક્યુરિટી ગાર્ડે તેમને અંદર જવા દીધા ન હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ગાર્ડ તેમને ઓળખી શક્યો ન હતો અને અંદર પ્રવેશ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારબાદ સ્મૃતિ સેટની બહારથી જ પરત ફરી ગયા અને શૂટિંગ જ રદ કરી દેવામાં આવ્યું હતું.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે તેઓ શૂટિંગ માટે આવ્યા છે અને શો ના સ્પેશિયલ ગેસ્ટ છે જેથી તેમને અંદર જવા દેવામાં આવે. પરંતુ ગેટકીપરે તેને કોઈ આદેશ મળ્યો નથી તેથી તેઓ અંદર જઈ શકે નહીં તેમ કહીને સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ગાર્ડ તેમને ઓળખી શક્યો ન હતો. ત્યારબાદ સ્મૃતિ ઈરાનીની ટીમે શોની પ્રોડક્શન ટીમ સાથે પણ સંપર્ક કરવાની કોશિશ કરી હતી પણ તે થઇ શક્યો ન હતો.
આ બાબતની જાણ કપિલ શર્મા શોની ટીમને થતા થોડી ક્ષણો માટે ખળભળાટ મચી ગયો હતો અને ટીમે સ્મૃતિ ઈરાની સાથે ફરી સંપર્ક કરવાના પ્રયત્નો કર્યા પરંતુ આખરે શૂટિંગ રદ કરવું પડ્યું હતું.
ગાર્ડને જ્યારે ખબર પડી કે તે કેન્દ્રીય મંત્રીને ઓળખી શક્યો ન હતો અને તેના કારણે આ બધું થયું ત્યારે તે ગભરાઈ ગયો હતો અને સેટ છોડીને ભાગી ગયો હતો. રિપોર્ટ અનુસાર, તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp