વધુ એક રાજ્યમાં ફેરબદલ કરવાની કોંગ્રેસની તૈયારી? પૂર્વ ડેપ્યુટી સીએમ રાહુલ ગાંધીને મળતા અટકળો તેજ
જયપુર: કોંગ્રેસશાસિત રાજ્ય પંજાબમાં (Punjab) હાલમાં જ મુખ્યમંત્રી બદલી નાંખવામાં આવ્યા. પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘે (Captain Amrinder Singh) પોતાનું અપમાન થતું હોવાનું કહીને મુખ્યમંત્રી (Chief Minister) પદેથી રાજીનામુ ધરી દીધું અને તેમને સ્થાને ચરણજીત સિંહ ચન્નીને પંજાબના નવા સીએમ બનાવવામાં આવ્યા. પંજાબ બાદ હવે કોંગ્રેસ અન્ય એક રાજ્યમાં ફેરબદલ કરવાની તૈયારીઓ શરૂ કરી રહી હોવાની અટકળો તેજ બની છે.
મીડિયા અહેવાલો અનુસાર, રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ (Sachin Pilot) હાલમાં જ રાહુલ ગાંધીને (Rahul Gandhi) મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે ૧૭ સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં લગભગ ૨ કલાક ચર્ચા થઇ. આ મુલાકાત બાદ માનવામાં આવી રહ્યું છે કે રજસ્થાનમાં પણ કોંગ્રેસ પંજાબવાળી કરી શકે છે.
કોંગ્રેસના સૂત્રો અનુસાર, આ બેઠકમાં ત્રણ મુદ્દાઓ ઉપર ચર્ચા હતી. પહેલી રાજસ્થાનમાં સંગઠનમાં ફેરફાર અંગે, બીજી ગેહલોત મંત્રીમંડળમાં પૂર્ણ બદલાવ અંગે અને ત્રીજી સચિન પાયલટની ભૂમિકા અંગે. પાયલટ સમર્થકોના દાવા અનુસાર, તેમને રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા અંગે પણ ચર્ચા થઇ હતી. ગેહલોત મંત્રીમંડળમાં ફેરફાર તેમજ સંગઠનમાં પણ ફેરફાર થઇ શકે છે. આ માટે પાર્ટી મુખ્યમંત્રી ગેહલોતના સ્વાસ્થ્યમાં સુધાર અને કામકાજ શરૂ કરવાની રાહ જોઈ રહી છે.
અનુમાન છે કે પંજાબમાં ફેરબદલ થવાના કારણે રાજસ્થાનમાં પણ સચિન પાયલટ જૂથનું મનોબળ વધી શકે છે અને ફરીથી અશોક ગેહલોતને હટાવવાની માગ ઉઠાવવામાં આવી શકે છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ વચ્ચે વિવાદ જૂનો અને જાણીતો છે. ગયા વર્ષે હાઈવોલ્ટેજ પોલિટીકલ ડ્રામા બાદ સરકાર ભંગ થવાને આરે આવીને બચી ગઈ હતી.
જોકે ત્યારબાદ હાઈકમાન્ડના હસ્તક્ષેપ બાદ બંને જૂથો વચ્ચે ‘યુદ્ધવિરામ’ તો થઇ ગયું હતું પરંતુ તેમ છતાં આંતરિક વિવાદ હજુ સુધી શમ્યો નથી. પાયલટ જૂથના ધારાસભ્યોમાં કેબિનેટ ફેરબદલનો વાયદો હજુ સુધી પૂરો ન કરવા બદલ નારાજગી જોવા મળી રહી છે. પાયલટના એક નજીકના ગણાતા નેતાએ મીડિયાને કહ્યું કે નજીકના દિવસોમાં અમને સારા સમાચાર મળવાની આશા છે. તેમણે કહ્યું કે આવનારા અઠવાડિયામાં પાર્ટી કોઈ મોટો નિર્ણય કરશે.
જોકે, એ જાણવું પણ જરૂરી છે કે રાજસ્થાનમાં સ્થિતિ પંજાબ કરતા અલગ છે. કારણ કે ગેહલોત કેન્દ્રીય નેતૃત્વ અને ખાસ કરીને ગાંધી પરિવારના નજીકના છે અને તેમની સાથે સતત સંપર્કમાં રહે છે. તેમજ સરકાર અને પાર્ટી બંનેમાં તેમની પકડ મજબૂત છે. જ્યારે કેપ્ટન અમરિંદર સામે પાર્ટીના જ ધારાસભ્યો નારાજ હતા, અહીં ગેહલોત સાથે લગભગ ૧૦૦ ધારાસભ્યો છે. તેમજ કેપ્ટન સીએમ તરીકે હાઈકમાન્ડની પસંદગી ન હતા જ્યારે ગેહલોતને દિલ્હીથી જ સીએમ ઘોષિત કરવામાં આવ્યા હતા.
સાથે એ પણ નોંધવું જોઈએ કે પંજાબમાં માર્ચ ૨૦૨૨ માં ચૂંટણી આવી રહી છે, જયારે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી ઓક્ટોબર ૨૦૨૩ માં યોજાશે. જેને હજુ બે વર્ષ જેટલો સમય બાકી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp