ધોરણ 6 થી 8 ના બાળકોએ શાળાએ જવા હજુ થોડો સમય રાહ જોવી પડશે
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આજરોજ ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા માટે પણ ચર્ચા થઇ હતી પરંતુ હાલ આ વર્ગો શરૂ કરવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મુદ્દે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શિક્ષણમંત્રીએ કહ્યું કે, હાલ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 15 ઓગસ્ટ બાદ આ વર્ગો શરૂ કરવા માટે સરકાર નિર્ણય કરશે.
ગત સપ્તાહે શિક્ષણમંત્રીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, રાજ્ય સરકારના પાંચ વર્ષની ઉજવણી પૂર્ણ થયા બાદ એક બેઠક યોજવામાં આવશે, જેમાં ધોરણ 6 થી 8 ના વર્ગો ખોલવા માટે સરકાર નિર્ણય કરી શકે છે. પરંતુ આજના નિર્ણય અનુસાર બાળકોએ શાળાએ જવા હજુ થોડી રાહ જોવી પડશે. સરકાર 15 મી ઓગસ્ટ બાદ ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા વિચારી રહી હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય એક ન્યુઝ રિપોર્ટ જણાવે છે કે, ગઈકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં પણ ધોરણ 6 થી 8 ના વર્ગો ખોલવા સંદર્ભે ચર્ચા થઇ હતી. પરંતુ બેઠકમાં આ મુદ્દે મતમતાંતર થતા શાળાઓ ખોલવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, હજુ આ મામલે કોઈ વચલો માર્ગ કાઢવા કે થોડો સમય રાહ જોવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp