જસ્ટિસ ચંદ્રચુડે ચુકાદો સંભળાવતા કહ્યું કે આ કેસ નોઈડા ઓથોરિટી અને ડેવલપર વચ્ચેની મિલીભગતનું ઉદાહરણ છે. આ કિસ્સામાં બિલ્ડિંગ પ્લાનનું સીધું ઉલ્લંઘન થયું હતું. નોઈડા ઓથોરિટીએ પણ આ યોજના લોકોને શેર કરી નથી. આવી સ્થિતિમાં ટાવરો તોડવાનો અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય એકદમ યોગ્ય હતો.
40-40 માળના આ બંને ટાવરમાં હજાર-હજાર ફ્લેટ છે. કોર્ટે કહ્યું કે જે લોકોએ આ ટાવરમાં ફ્લેટ લીધા હતા તેમને 12 ટકા વ્યાજ સાથે રકમ પરત કરવામાં આવશે. સાથે કોર્ટે આદેશ આપ્યો છે કે બંને ટાવરોને તોડતી વખતે અન્ય કોઈ પણ ઈમારતને નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખવાની રહેશે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે બંને ટાવર તોડવાનો ખર્ચ સુપરટેક પાસેથી વસૂલવામાં આવે. કોર્ટે કહ્યું કે નોઈડા ઓથોરિટીના નિષ્ણાતોની મદદ લઇ અન્ય ઇમારતોની સલામતીને ધ્યાનમાં રાખીને ટાવર તોડી નાંખવા જોઇએ. જેમને રિફંડ આપવામાં આવ્યું નથી તેમને રિફંડ આપવું જોઈએ. કોર્ટે કહ્યું કે ફ્લેટ ખરીદનારાઓને બે મહિનામાં પૈસા પરત કરવામાં આવે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે અનધિકૃત બાંધકામમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. પર્યાવરણની સુરક્ષા અને રહેવાસીઓની સલામતીનો પણ વિચાર કરવો પડશે. આ બાંધકામ સલામતીના ધોરણોને નબળું પાડે છે.
કોર્ટે કહ્યું કે નોઈડા ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી મંજૂરી બિલ્ડિંગ નિયમોનું ઉલ્લંઘન છે. ટાવર્સ વચ્ચે ન્યૂનતમ અંતર જરૂરિયાતોની વિરુદ્ધ છે. બિલ્ડિંગ બાંધકામના નિયમોનું પાલન ન કરવાને કારણે ફાયર સેફ્ટીના ધોરણોનું પણ ઉલ્લંઘન થયું છે. નોઈડા એક્સપ્રેસ વે પર સ્થિત 40 માળના બંને ટાવર તોડી નાખવા કે નહીં તે નિર્ણયનો આધાર સુપ્રીમ કોર્ટ ઉપર હતો. 5 ઓગસ્ટે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.
2014 માં અલાહાબાદ હાઈકોર્ટે ટાવરો તોડવાનો આદેશ આપ્યો હતો.
વર્ષ 2014 માં અલાહાબાદ હાઈકોર્ટે હાઉસિંગ સોસાયટીમાં નિયમોના ઉલ્લંઘન માટે બંને ટાવર તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ સાથે ઓથોરિટીના અધિકારીઓ સામે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ સુપરટેકની અરજી પર સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશ પર રોક લગાવી હતી. તેમજ એનબીસીસીને તપાસ કરીને રિપોર્ટ દાખલ કરવાનું કહેવામાં આવ્યું હતું.