Surat : અસલી પોલીસે નકલી પોલીસને પકડી! 'આવું શા માટે કર્યું?' પૂછતાં..નકલી પોલીસે આપ્યો ચોંકાવનારો જવાબ, જાણો શું છે મામલો?
ગુજરાત ડેસ્ક : ગુજરાતમાં ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. આ દરમિયાન પોલીસ ખાતું ખૂબ જ વ્યસ્ત રહે છે. આવા સમયે સુરત પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી જેમાં એક વ્યક્તિ નકલી પોલીસ બનીને લોકોમાં પોતાનો રોફ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જાણો આ સંપૂર્ણ કિસ્સો...
સલાબતપુરા પોલીસ (Surat Police) પેટ્રોલિંગમાં હતી, ત્યારે એક વ્યક્તિ પીએસઆઈનો યુનિફોર્મ (Police Uniform) પહેરી મોપેડ ઉપર બેઠો હતો. પોલીસને શંકા જતાં તેની પૂછપરછ કરતાં આ નકલી પીએસઆઈ (Fake Police) હોવાનું સામે આવ્યું હતું. અસલી પોલીસે નકલી પોલીસને પકડી સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરી હતી.
સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ માન દરવાજા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ નટવરસિંહ માનસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અરજણભાઇ લાખાભાઇ પેટ્રોલિંગમાં હતા, ત્યારે ફરતા ફરતા સોમોલાઇ હનુમાન મંદિર પાસે પહોંચ્યા હતા. જ્યાં એક વ્યક્તિ મોપેડ નં.(જીજે-05-ઇએક્સ-5677) ઉપર પોલીસનો પી.એસ.આઇ.નો યુનિફોર્મ પહેરીને બેસેલો હતો. આ વ્યક્તિ પર શંકા જતાં તેની પૂછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતો ન હતો.
જેથી સલાબતપુરા પોલીસ ઇન્સ્પેક્ટર બી.આર.રબારીને જાણ કરાઈ હતી. અને પીએસઆઈ એમ.એન.કાતરિયાને બોલાવી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ નીરલ અશ્વિનભાઇ રાઠોડ (ઉં.વ.૨૪) (રહે.,આહીરવાસ, પોપડા, તા.ચોર્યાસી, જિ.સુરત) હોવાનું જણાવ્યું હતું. પોતાને પોલીસ બનવાનો શોખ હોવાથી દુકાનમાંથી યુનીફોર્મ લઇ લોકોમાં રોફ જમાવવા માટે પહેરીને ફરતો હતો. છેલ્લા દોઢ મહિનાથી તે ઘરેથી આ રીતે યુનિફોર્મ પહેરીને નીકળતો હતો. અને ઘરે પોતે પોલીસમાં ભરતી થઈ ગયો હોવાનું કહી અત્યારે તેની ટ્રેનિંગ ચાલતી હોવાનું કહેતો હતો. સલાબતપુરા પોલીસે તેની સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp