તાલિબાન સામે લડતા અંતિમ પ્રાંત ઉપર પણ કબજો મેળવી લીધો હોવાનો તાલિબાનનો દાવો!
કાબુલ: 15 દિવસથી કાબુલ પર કબજો જમાવીને બેઠેલા તાલિબાનીઓએ હવે દાવો કરતા કહ્યું છે કે તેમણે પંજશીર પ્રાંત ઉપર પણ કબજો જમાવી લીધો છે. આ સાથે તાલિબાને એમ પણ દાવો કર્યો છે કે તેમણે નોર્ધન એલાયન્સના ચીફ સાલેહ મોહમ્મદને પણ મારી નાંખ્યા છે. જોકે, બીજી તરફ અફઘાન ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહના નજીકના સૂત્રોએ આ દાવા નકારી દીધા છે.
કેટલીક તસવીરો મીડિયામાં વાઈરલ થઇ છે, જેમાં દેખાય છે કે પંજશીરમાં તાલિબાનનો ઝંડો લહેરાય છે અને બીજી તસવીરમાં પંજશીર ગવર્નર ઓફિસની બહાર કેટલાક તાલિબાની ઉભેલા દેખાય છે. તાલિબાને દાવો કર્યો છે કે તેમણે પંજશીર પ્રાંત પણ કબ્જે કરી લીધો છે.
તાલિબાન તરફથી વધુ એક દાવો કરવામાં આવ્યો કે તેમણે રેસિસ્ટન્સ ફોર્સના કમાન્ડર-ઇન-ચીફ સાલેહ મોહમ્મદની હત્યા કરી નાંખી છે. તાલિબાન તરફથી પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે મીડિયાને કહ્યું કે તેમણે પંજશીર પ્રાંત પણ જીતી લીધો છે. નોંધવું મહત્વનું છે કે પંજશીર એ આખરી પ્રાંત હતો, જેની ઉપર તાલિબાનનો કબજો ન હતો.
આ પહેલા પંજશીરમાં તાલિબાનો સામે લડતા અહમદ મસૂદે તાલિબાન સામે શાંતિ વાર્તાનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તાલિબાને તેમના લડાયકોને પરત બોલાવી લીધા છે અને તેમના હટી ગયા બાદ NRF પણ પોતાનું મિલીટરી ઓપરેશન સ્થગિત કરી રહ્યું છે.
રવિવારે અહમદ મસૂદના નજીકના ગણાતા ફહીમ દશ્તીનું મોત થયું હતું. ત્યારબાદ NRF દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું અને યુદ્ધવિરામની માગ કરવામાં આવી હતી. આ ઉપરાંત પંજશીરમાં જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તેને હટાવીને સામાન્ય નાગરિકોને રાહત આપવાની પણ વાત કરવામાં આવી હતી.
તાલિબાને 15 ઓગસ્ટે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ઉપર કબ્જો મેળવી લીધા બાદ પંજશીર પ્રાંત આખરી પ્રાંત હતો, જે તાલિબાન સામે લડી રહ્યો હતો અને તેની ઉપર હજુ સુધી તાલિબાન કબજો મેળવી શક્યું ન હતું. સાલેહ મોહમ્મદની આગેવાનીમાં NRF તાલિબાનીઓ સામે લડી રહ્યું હતું. પરંતુ હવે તાલિબાનના દાવાને સત્ય માનવામાં આવે તો તેની ઉપર પણ તાલિબાનનો કબજો થઇ ગયો છે. જોકે, નોર્ધન એલાયન્સ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp