આસારામનાં આશ્રમમાંથી 13 વર્ષની કિશોરીની લાશ મળી, આશ્રમ ફરી વિવાદમાં આવશે?!
નેશનલ ડેસ્ક : જેલમાં બંધ આસારામનાં (Asaram) ગોંડા સ્થિત આશ્રમમાંથી એક ચોંકાવનારી વિગત સામે આવી છે. આશ્રમ સ્થિત અલ્ટો કારમાંથી એક બાળકીની લાશ મળી છે. બાળકીની ઉંમર 13-14 વર્ષની આસપાસ હોય તેવું માલૂમ પડે છે. લાશ મળ્યાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આશ્રમમાંથી (Ashram) લાશ મળતાં સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર બાબત કોતવાલી શહેરના વિમૌર વિસ્તારનો છે. જ્યાં આસારામનું આશ્રમ છે. બાળકી 5 એપ્રિલ 2022થી ગુમ હતી. જેની લાશ ચાર દિવસ બાદ મળી હતી. કારમાંથી તીવ્ર દુર્ગંધ આવતા પોલીસને ઘટનાની જાણ કરાવવામાં આવી હતી. આ પછી પોલીસ ઉતાવળમાં ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આપેલી જાણકારી મુજબ, કારમાંથી તીવ્ર દુર્ગંધ આવતા ચોકીદારે કારનો દરવાજો ખોલ્યો તો તેમાં છોકરીની લાશ હતી, તે ચોંકી ગયો, તેને તરત જ પોલીસને આ અંગેની સૂચના આપી હતી. જાણકારી મળતા જ પોલીસ અને ફોરેન્સિક, આશ્રમ અને કારની તપાસ કરી રહ્યા છે.
આસારામના આશ્રમમાંથી લાશ મળવાનો આ પ્રથમ કેસ નથી. આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ગુજરાત સ્થિત આસારામના આશ્રમ 'ગુરુકુળ'માંથી 2008માં બે બાળકો રહસ્યમય સંજોગોમાં ગાયબ થઇ ગયા હતા. ત્યારબાદ 5 જુલાઈ 2008નાં રોજ બે વિદ્યાર્થીઓની લાશ સાબરનદીના તટ પર મળી હતી.
ગુજરાત બાદ મધ્યપ્રદેશના છિન્દવાડા જિલ્લામાં સ્થિત ગુરુકુળ આશ્રમમાંથી પણ એક બાળકના મોતની ખબર સામે આવી હતી. આ ઘટના પણ વર્ષ 2008ની છે. આશ્રમના શૌચાલયમાંથી બાળકની લાશ મળી હતી. જોકે, બાળકના મોતનું કારણ બાથરૂમમાં પડી જવાથી થયું હતુ એવું જણાવવામાં આવ્યું હતુ.
આસારામને 2018માં આજીવન કેદની સજા કરવામાં આવી હતી. તેની પર આશ્રમની એક સગીરા પર બળાત્કાર ગુજાર્યાનો આરોપ હતો. છોકરીએ આરોપ લગાડ્યો હતો કે 15 ઓગસ્ટ 2013નાં રોજ આસારામે તેને જોધપુર નજીક મનાઈ વિસ્તારમાં આવેલા પોતાનાં આશ્રમમાં બોલાવી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો. 2013થી આસારામ જોધપુરની સેન્ટ્રલ જેલમાં બંધ છે. આસારામે ઘણી વખત જામીન માટે અરજી કરી છે, પરંતુ દરેક વખતે તેમના પ્રયાસો નિષ્ફળ ગયા છે.
આસારામના દિકરા નારાયણ સાંઈની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાલમાં નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં બંધ છે. જેલમાંથી બહાર નીકળવા માટે નારાયણ સાંઈએ (narayan sai) કોર્ટ સમક્ષ ખોટા કાગળિયાં રજૂ કર્યા હતા. તેણે કહ્યું હતુ કે તેની માતા બીમાર હોવાથી તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે, આથી તેને જામીન આપવામાં આવે. હાઈકોર્ટે પોલીસને આ બાબતે તપાસના આદેશ આપ્યા હતા. પોલીસ તોપાસમાં સામે આવ્યું હતુ કે નારાયણ સાંઈએ ખોટા કાગળિયા રજૂ કરીને જામી મેળવ્યા છે. ત્યારબાદ હાઈકોર્ટનાં આદેશ પર અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નારાયણ સાંઈ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp