ગાંધીનગર: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી જેમાં તેમણે અનેક મહત્વની જાહેરાતો કરી છે. જે અનુસાર, હવેથી રાજ્યની ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટના ચાર્જમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રીની જાહેરાત અનુસાર, હવેથી રાજ્યમાં ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટનો ચાર્જ રૂ. 400 રહેશે. આ શુલ્ક પહેલા ર્ય. 700 હતો. જેથી 300 રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમજ દર્દીના ઘરેથી સેમ્પલ લેવા માટેનો ચાર્જ અગાઉ 900 રૂપિયા જેટલો હતો, જે હવે ઘટાડીને 550 રૂપિયા કરવામાં આવ્યો છે.
ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું કે, ‘કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા સરકારે અનેક નિર્ણયો લીધા છે. આરટીપીસીઆર ટેસ્ટનાં દરોમાં બે વખત રાજ્ય સરકારે ઘટાડો કર્યો છે. હાલ ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆરનો દર 700 રૂપિયા લેવામાં આવે છે. જેમાં હવે, 300 રુપિયામનો ઘટાડો કરવામાં આવ્યો છે. ખાનગી લેબોરેટરી 400 રૂપિયાથી વધુ આ ટેસ્ટ કરવા માટે ચાર્જ લઇ શકશે નહીં. આ સાથે દર્દીના ઘરે કે કોઇ હોસ્પિટલમાં દાખલ હોય તો ત્યાં ખાનગી લેબોરેટરી પોતાના માણસને મોકલીને ટેસ્ટ કરાવવા માટેનાં સેમ્પલ મેળવવાનો અત્યાર સુધીનો દર 900 રુપિયા હતો. તેમાં પણ 350નો ઘટાડો કરીને 550 રૂપિયાનો દર કરવામાં આવ્યો છે.’
સરકારના જણાવ્યા અનુસાર, એરપોર્ટ ઉપર RT-PCR ટેસ્ટનો ભાવ 2700 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ પહેલા એરપોર્ટ ઉપર આ ટેસ્ટના 4,000 રૂપિયા લેવામાં આવતા હતા.
આ ઉપરાંત સરકાર દ્વારા સીટી સ્કેનના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, કોઈ ખાનગી રેડિયોલોજિસ્ટ પાસે જઇને HRCT સ્કેન કરાવે તો તેમણે 3 હજારના બદલે 2,500 રૂપિયા જ ચૂકવવાના રહેશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે સરકારી હોસ્પિટલોમાં જ્યાં આ મશીનો છે ત્યાં સ્કેન વિનામૂલ્યે કરવામાં આવે છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે આવતા રવિવારે જેમને કોરોના વેક્સિનનો બીજો ડોઝ બાકી હશે તેમને પણ રસી આપવામાં આવશે. તેમણે કહ્યું કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને રાજ્ય સરકાર સતર્ક છે. રાજ્યમાં ધીમે ધીમે છૂટછાટો આપવામાં આવી રહી છે પરંતુ સાથે નાગરિકોને રસી દ્વારા સુરક્ષિત પણ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, પ્રભુને પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર આવે જ નહીં.