ભારતીય ક્રિકેટ ટીમને મળશે નવા કોચ, વર્લ્ડ કપ બાદ આ પૂર્વ ક્રિકેટર જવાબદારી સંભાળશે
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમ આગામી T20 વર્લ્ડ કપ માટેની તૈયારી કરી રહી છે ત્યારે ક્રિકેટને લઈને મોટા સમાચાર આવ્યા છે. અહેવાલ અનુસાર, પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ બનાવવામાં આવી શકે છે. તેમણે આગામી બે વર્ષ માટે કોચ બનવા મુદ્દે સહમતિ દર્શાવી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે.
ગઈકાલે આઈપીએલની ફાઈનલ દરમિયાન દુબઈ ખાતે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ અને રાહુલ દ્રવિડ વચ્ચે એક બેઠક થઇ હતી જેમાં રાહુલ દ્રવિડ T20 વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનશે તે મુદ્દે સહમતિ બની હતી. ત્યારબાદ દ્રવિડે બે વર્ષ માટે હેડ કોચ બનવા મુદ્દે સહમતિ દર્શાવી હતી.
BCCI ના ટોચના અધિકારીએ મીડિયાને જણાવ્યું છે કે રાહુલ દ્રવિડે પુષ્ટિ કરી છે કે તેઓ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનશે. તેઓ જલ્દીથી જ NCA ના પ્રમુખ પદેથી રાજીનામુ આપી દેશે. જોકે, BCCI દ્વારા હજુ આ અંગે અધિકારીક જાહેરાત કરવામાં આવી નથી.
આ ઉપરાંત ઈન્ડીયન ટીમના બોલિંગ કોચ તરીકે દ્રવિડના વિશ્વાસુ પારસ મહામ્બ્રેની નિમણુંક કરવામાં આવી છે. વિક્રમ રાઠોડ ટીમના બેટિંગ કોચ તરીકે ચાલુ રહેશે, જ્યારે બોલિંગ કોચ તરીકે આર. શ્રીધરના રિપ્લેસમેન્ટને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
રિપોર્ટ અનુસાર, દ્રવિડ સાથે આગામી બે વર્ષોનો કરાર કરવામાં આવશે. જેથી દ્રવિડ વર્ષ 2023 ના વર્લ્ડ કપ સુધી હેડ કોચ તરીકે રહેશે. આ કરાર 10 કરોડ રૂપિયાનો છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે દ્રવિડને ગત મહિને નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ બનાવવામાં આવ્યા હતા પરંતુ BCCI ને ક્રિકેટ ટીમ માટે મજબૂત કોચની જરૂર હતી. BCCI પ્રમુખ અને સેક્રેટરી બંને રાહુલ દ્રવિડના નામ પર સહમત થતા તેમની નિમણૂંક કરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp