બેંગ્લોર: કર્ણાટકના મુખ્યપ્રધાન પદેથી બીએસ યેદિયુરપ્પાએ (BS Yediyurappa) રાજીનામુ આપી દીધા બાદ હવે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા નવા મુખ્યમંત્રીની પસંદગી કરી લેવામાં આવી છે. ગઈકાલે કર્ણાટક વિધાનસભાના ધારાસભ્ય દળની બેઠક મળી હતી જેમાં રાજ્યના ગૃહમંત્રી બસવરાજ બોમ્મઈના (Basavraj Bommai) નામ પર મહોર મારવામાં આવી હતી.
બેઠકમાં કાર્યવાહક મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ બોમ્મઈના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો જેને ધારાસભ્યો દ્વારા સર્વસંમતિથી સ્વીકારી લેવામાં આવ્યો. આજે સવારે 11 વાગ્યે તેઓ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. મુખ્યમંત્રી સાથે ત્રણ નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવશે. જેમાં આર અશોક, ગોવિંદ કરજોલ અને શ્રીરામાલુનો સમાવેશ થાય છે.
વિધાયક દળની બેઠક શહેરની એક હોટેલમાં મળી હતી. રાજ્યના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે કેન્દ્ર તરફથી કેન્દ્રીય મંત્રીઓ જી કિશન રેડ્ડી અને ધર્મેન્દ્ર પ્રધાનને મોકલવામાં આવ્યા હતા. નવા બનેલા મુખ્યમંત્રી બોમ્મઈએ આજે બપોરે આ બંને નેતાઓ સાથે મુલાકાત કરી હતી ત્યારથી જ તેમના નામની ચર્ચા શરૂ થઇ ગઈ હતી. જોકે, આ બેઠક બાદ તેમણે કહ્યું હતું કે બેઠક બાદ નવા મુખ્યમંત્રી વિશે ખબર પડશે. તેમણે કહ્યું હતું કે કોરોનાની સ્થિતિને સંભાળવી એ આગલા મુખ્યમંત્રી માટે પડકારજનક હશે.’ હવે આ પડકાર તેમને માથે જ આવ્યો છે.
61 વર્ષીય બસવરાજ બોમ્મઈએ રાજનીતિક કારકિર્દીની શરૂઆત જનતા દળથી કરી હતી. વર્ષ ૨૦૦૮માં તેઓ જનતા દળ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા અને ત્યારથી પાર્ટીમાં સતત તેમનું કદ વધતું જ રહ્યું છે. તેઓ પહેલા રાજ્ય સરકારમાં જળ સંસાધન મંત્રી હતા. યેદિયુરપ્પા સરકારમાં તેઓ ગૃહમંત્રી હતા.
તેઓ વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર છે અને કારકિર્દીની શરૂઆત તાતા સમૂહથી કરી હતી. તેઓ બે વાર એમએલસી અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. નોંધવું મહત્વનું છે કે તેના પિતા એસઆર બોમ્મઈ પણ કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
મુખ્યમંત્રી તરીકે પસંદગી પામ્યા બાદ તેમણે કહ્યું કે, આ સમયે આ એક મોટી જવાબદારી મળી છે. હું ગરીબોના કલ્યાણ માટે કામ કરવાના પ્રયાસો કરીશ. આ સરકાર જન હિતૈષી અને ગરીબોની સમર્થક રહેશે.