બેંગ્લોર: આખરે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ (BS Yediyurappa) મુખ્યમંત્રી (Chief Minister) પદેથી રાજીનામુ (resignation) આપી દીધું છે. થોડી ક્ષણો પહેલા તેમણે આ અંગે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, મેં રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. હું બપોરે રાજ્યપાલ સાથે મુલાકાત કરીશ.’ બપોરે યેદીયુરપ્પા રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સાથે મુલાકાત કરી રાજીનામુ સોંપી દેશે.
કર્ણાટક સરકારના બે વર્ષ પૂર્ણ થવા પર આયોજીત એક સમારોહમાં ભાષણ કરતી વખતે રાજીનામાનું એલાન કરતા તેમણે કહ્યું કે તેઓ હંમેશા અગ્નિપરીક્ષામાંથી પસાર થયા છે. અને ઉમેર્યું કે, તેઓ કર્ણાટકના લોકો માટે હજુ કામ કરતા રહેશે.
નોંધવું મહત્વનું છે કે, આજે જ કર્ણાટકમાં ભાજપ સરકારની બીજી વર્ષગાંઠ છે. બે વર્ષ પહેલા કર્ણાટકમાં કોંગ્રેસ ગઠબંધનની સરકાર ભંગ થઇ હતી અને બીએસ યેદિયુરપ્પાની આગેવાનીમાં ભાજપ સરકાર સત્તામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી તેમના રાજીનામાની અટકળો ચાલી રહી હતી. ખાસ કરીને તેમના દિલ્હી પ્રવાસ બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી હતી કે તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી શકે છે. તેઓ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા.
જોકે, પીએમ સાથેની મુલાકાત બાદ તેમણે કહ્યું હતું કે તેઓ રાજીનામુ આપવા જઈ રહ્યા નથી અને પીએમ સાથે માત્ર રાજ્યના વિકાસને લઈને વાતો થઇ છે. જોકે, ત્યારબાદ ગઈકાલે તેમણે વધુ એક નિવેદન આપતા કહ્યું હતું કે સાંજ સુધીમાં પાર્ટી હાઈકમાન્ડ તરફથી જણાવવામાં આવશે કે તેઓ રાજીનામુ આપશે કે નહીં. આજે સવારે તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામાની જાહેરાત કરી છે.
હવે, કર્ણાટકના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા જાહેરાત કરવામાં આવશે. જલ્દીથી કર્ણાટક વિધાનસભામાં વિધાયક દળની બેઠક બોલાવવામાં આવી શકે છે.