રાહતના સમાચાર : જામનગરના ત્રણેય ઓમિક્રોન દર્દીઓ સાજા થયા, હોસ્પિટલમાંથી રજા અપાઈ
જામનગર: ગુજરાતમાં નોંધાયેલ પ્રથમ ઓમિક્રોન વેરિયન્ટના દર્દીને આખરે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તેમની સાથે સંપર્કમાં આવેલ અન્ય બે વ્યક્તિ પણ સંક્રમિત થયા હતા, તેઓ પણ સ્વસ્થ થઇ ગયા હોવાનું જાણવા મળે છે.
જામનગરના 72 વર્ષીય વૃદ્ધ વ્યક્તિને 17 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે તેમના પત્ની અને સાળાને પણ 11 દિવસની સારવાર બાદ રજા આપી દેવાઈ છે. રજા આપવા અગાઉ તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને સ્વસ્થ જાહેર કરાયા હતા.
નોંધવું જોઈએ કે, ગત પહેલી ડિસેમ્બરના રોજ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી જામનગર આવેલ એક 72 વર્ષીય વૃદ્ધ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો. તેમને તાવ અને શરદી થતા ખાનગી ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું માલૂમ પડતા ડોક્ટરે ટેસ્ટ કરાવ્યા હતા, જેનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો. ત્યારબાદ વિદેશથી આવેલા મુસાફરો માટેની ગાઈડલાઈન અનુસાર તેમના સેમ્પલ પુણે ખાતેની લેબમાં મોકલવામાં આવ્યા હતા.
જ્યાંથી 4 ડિસેમ્બરે રિપોર્ટ આવતા દર્દીમાં કોરોનાના નવા વેરિયન્ટની પુષ્ટિ થઇ હતી. ત્યારબાદ ગાઈડલાઈન અનુસાર ડેન્ટલ હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલી હોસ્પિટલમાં તેમને આઈસોલેટ કરવામાં આવ્યા હતા અને સારવાર પણ શરૂ કરી દેવામાં આવી હતી. તેમજ તેમના નજીકના સંપર્કમાં આવેલા લોકોના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. જેમાં દર્દીના પત્ની અને સાળાના કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યા હતા તેમજ તેમનામાં પણ નવા વેરિયન્ટની પુષ્ટિ થઇ હતી.
જે બાદ આ તમામને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યાં ત્રણેયના કોરોના ટેસ્ટ કરી રિપોર્ટ કરવામાં આવતા સતત બે ટેસ્ટ નેગેટિવ આવતા ત્રણેય દર્દીઓને ગુરુવારે સાંજે રજા આપી દેવામાં આવી હતી. આ ત્રણેય દર્દીઓમાંથી એકેયને ઓક્સિજનની જરૂર ન પડી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp