શારદીય નવરાત્રીના દસમાં દિવસે અને દિવાળીથી બરાબર વીસ દિવસ પહેલા દશેરાની ઉજવણી કરવામાં આવે છે. દશેરો હિન્દુઓનો બહુ મોટો તહેવાર ગણાય છે. આપણે જેને ‘આસો’ કહીએ છીએ એ અશ્વિન માસના શુક્લ પક્ષની દસમી તિથીએ દશેરો આવે છે. પ્રભુ શ્રી રામે આ દિવસે જ રાવણનો વધ કરેલો. વળી આ જ દિવસે દેવી દુર્ગાએ મહિષાસુર રાક્ષસનો વધ કરેલો. આથી દશેરાનો દિવસ અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક ગણાય છે. આ દિવસે રાવણનું પૂતળું પણ સળગાવવામાં આવે છે. દશેરાને ‘વિજય દશમી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુઓ માટે દશેરો એ વર્ષની સૌથી શુભ તિથીઓ પૈકીની એક તિથી છે. આ દિવસે લોકો શસ્ત્ર પૂજા કરે છે. નવા કાર્યોનો પ્રારંભ કરવા માટે પણ દશેરાની તિથી ઉત્તમ મનાય છે.
ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે. અને દશેરાનો સંબંધ પણ ‘શક્તિ’ સાથે છે. મા દુર્ગાએ મહિષાસુર રાક્ષસનો વધ કરેલો. એ પછી મહિષાસુર મર્દિની મા દુર્ગાએ ચંડ-મુંડ જેવા રાક્ષસોનો પણ વધ કરેલો. પ્રભુ શ્રી રામે પણ રાવણનો વધ કર્તા પહેલા મા દુર્ગાની પૂજા કરેલી. જે રીતે જ્ઞાન માટે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે, એ જ પ્રમાણે શક્તિ માટે મા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. આથી બંગાળ સહિતના કેટલાક સ્થળોએ દશેરાને ‘દુર્ગા-પૂજા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
‘દશેરો’ નામ કઈ રીતે પડ્યું? :
દશેરો શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ ‘દશ-હર’માંથી થઇ છે. અહીં દસ માથાવાળા રાવણને મારવાનો પ્રચલિત અર્થ તો છે જ. પણ એ સાથે જ દશ-હરનો એક અર્થ દસ બુરાઈઓથી (નકારાત્મક શક્તિઓથી) છૂટકારો મેળવવો, એવો પણ થાય છે. આજના જમાનામાં જ્યારે પૃથ્વી ઉપર રાક્ષસો રહ્યા નથી, ત્યારે દરેક માણસે સૌથી પહેલા પોતાના મનની અંદર વસેલી બુરાઈઓ સામે લડવું પડે છે. દશ-હર શબ્દ સમય સાથે અપભ્રંશ થઈને ‘દશેરો’ બની ગયો છે. દશેરાને બુરાઈ પર વિજયના પ્રતિક રૂપે ઉજવવામાં આવે છે.
દશેરાનું આ સાંસ્કૃતિક પાસુ પણ છે :
ભારત એક કૃષિપ્રધાન દેશ છે. જ્યારે આખું વર્ષ મહેનત કર્યા બાદ ખેડૂત પોતાના હ્કેત્રમાં ઉગેલા પાકરૂપી સંપત્તિને લણીને ઘરે લાવે છે, ત્યારે એના આનંદનો પાર હોતો નથી. ખેડૂત હંમેશા પ્રકૃતિ અને એના તત્વોની નજીક રહે છે, કેમકે એ પ્રકૃતિની તાકાતને બરાબર સમજે છે. આથી જ્યારે ખેતરમાં સારો પાક થાય છે, ત્યારે ખેડૂત એને ઈશ્વરની કૃપા ગણીને સ્વીકારે છે. ઈશ્વરની આ કૃપા બદલ આભાર વ્યક્ત કરવા માટે ખેડૂત દશેરાને દિવસે પૂજા અર્ચના કરે છે.
એજ પ્રમાણે ક્ષત્રિયો આસુરી શક્તિઓના વધ માટે અને નિર્દોષના રક્ષણ માટે વપરાતા પોતાના શાસ્ત્રોની પૂજા કરે છે. કારીગર વર્ગ પણ પોતાના યંત્રો-મશીનરીઝની પૂજા કરીને ઈશ્વરનો પાડ માને છે. ભારતના વિભિન્ન પ્રદેશોમાં દશેરો જુદી જુદી રીતે ઉજવાય છે. દશેરાને દિવસે શમીના વૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે.
દશેરાની તિથી અને મુહુર્ત :
તિથી પ્રારંભ : ૨૫ ઓક્ટોબર ૨૦૨૦, રવિવારની સવારે ૭.૦૦ વાગીને ૪૧ મિનીટે
તિથી સમાપ્ત : ૨૬ ઓક્ટોબર ૨૦૨૦, સોમવારે સવારે ૯.૦૦ વાગ્યે
વિજય મુહુર્ત : ૨૫ ઓક્ટોબર ૨૦૨૦, રવિવારે બપોરે ૧.૦૦ વાગીને ૫૭ મિનીટથી ૨.૦૦ વાગીને ૪૨ મિનીટ સુધી.
કુલ સમય : ૪૫ મિનીટ્સ
મિત્રો, આ સાથે જ SidhiKhabar.comના વાચકો માટે નવરાત્રિ દરમિયાન શરુ કરેલી આ શ્રેણી પૂરી થાય છે. આવતીકાલથી મળીશું ધર્મ, અધ્યાત્મ અને સંસ્કૃતિને લગતા નવા વિષયો, પુરાણકથાઓ વગેરે સાથે આજ પેઈજ પર મળતા રહીશું. આપ સહુનો દશેરો અને દીપાવલી પર્વ શુભદાયી અને આનંદપ્રદ નીવડે.
અંબે માત કી જય. જય શ્રી રામ