નજીકના ભવિષ્યમાં ટોલ ટેક્સ ભરવા થોભવું નહિ પડે : નીતિન ગડકરીની મોટી જાહેરાત
નેશનલ ડેસ્ક: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી રસ્તાઓનો વિકાસ ખૂબ જ ઝડપથી થઇ રહ્યો છે. હાલના સમયમાં વાહનો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સરળતાથી દોડી રહ્યા છે તેમજ ઇલેક્ટ્રિક ટોલ પ્લાઝા સિસ્ટમની શરૂઆત થયા બાદ ટોલ પોઈન્ટ પર લાગતો સમય પણ નોંધપાત્ર રીતે ઘટી ગયો છે. પરંતુ હવે ટૂંક સમયમાં લોકો ટોલ પ્લાઝાથી પણ છુટકારો મેળવશે.
ઈલેક્ટ્રિક ટોલ પ્લાઝા બાદ સરકાર દ્વારા વધુ એક પગલું લેવાય રહ્યું છે જેમાં જીપીએસ ટેક્નોલોજી દ્વારા ટોલ વસૂલવામાં આવશે. ટોલ વસુલવા માટે હવે જીપીએસ સિસ્ટમ લાગુ થયા બાદ ટોલ પ્લાઝાને દુર કરવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રી નીતિન ગડકરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જીપીએસ સિસ્ટમ લાગુ કર્યા બાદ લોકોએ હવે નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર રોકાવું પડશે નહિ.
સંસદના બજેટ સત્રમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે "સરકારે રસ્તાના મામલે ઘણી નવી ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. હાલમાં ઈલેક્ટ્રોનિક ટોલ સિસ્ટમથી 97 ટકા ટેક્સ વસુલવામાં આવે છે. હવે સરકાર જીપીએસ સિસ્ટમ લાવશે જેમાં કોઈ ટોલ પ્લાઝા હશે નહીં. ટોલ પ્લાઝાની ગેરહાજરીનો અર્થ એ છે કે ટોલ સમાપ્ત થશે નહીં પરંતુ તમારી કારમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે અને આ જીપીએસ સિસ્ટમ વાહનમાં ફરજિયાત કરવામાં આવી છે. તમે ક્યાંથી પ્રવેશ કર્યો છે તેમજ ક્યાંથી બહાર નીકળો છો, તેનો જીપીએસ પર રેકોર્ડ કરવામાં આવશે અને સીધા તમારા બેંક ખાતામાંથી પૈસા કપાશે. તમને નેશનલ હાઈવે પર રોકવામાં આવશે નહિ."
નીતિન ગડકરીએ વધુમાં જણાવતા કહ્યું, “અમે ભારતમાં ટોલ પ્લાઝાની જગ્યાએ જીપીએસ આધારિત ટ્રેકિંગ સિસ્ટમ લાવવા માટે નવી નીતિ માટેની તૈયારી કરી રહ્યા છીએ જેમાં ટોલ ટેક્સ જીપીએસ દ્વારા વસુલવામાં આવશે.
લોકોની સુવિધા માટે હવે નેશનલ હાઈવે પર દરેક 60 કિલોમીટરના અંતરે માત્ર એક જ ટોલ પ્લાઝા હશે અને વધારાના તમામ ટોલ પોઈન્ટ દૂર કરવામાં આવશે અને આ કામ માત્ર 3 મહિનામાં જ પૂર્ણ થશે. 60 કિલોમીટરના અંતરમાં એકથી વધુ ટોલ પોઈન્ટ હોવું ગેરકાયદેસર ગણાશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp