વડોદરામાં બે જોડિયા ભાઈઓએ ફાંસો ખાધો : એકનું મોત, એક હોસ્પિટલમાં દાખલ
વડોદરા: વડોદરામાં ધોરણ 12 માં અભ્યાસ કરતા બે જોડિયા ભાઈઓએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેવાની ચકચારી ઘટનાથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે. શિક્ષક મા-બાપના બંને પુત્રો NEET પરીક્ષા આપી રહ્યા હતા. બેમાંથી એકનું મૃત્યુ થયું છે જ્યારે બીજો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બંનેની ઉંમર 18 વર્ષની હોવાનું જાણવા મળે છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં લક્ષ્મીપુરા પોલીસમથકની હદમાં આવેલા શાંતમ રેસિડેન્સીમાં મા-બાપ સાથે બંને ભાઈઓ રહેતા હતા. બંનેએ રૂમમાં સાથે જ નેપકિન વડે ફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાંથી એકનો ગાળિયો છૂટી જતા નીચે પટકાયો હતો. જેની હાલ સારવાર ચાલી રહી છે.
તેમના પિતા રાજેશભાઈ અને માતા બંને આણંદની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સોમવારે જ્યારે બંને ઘરે પરત ફર્યા ત્યારે આ બાબતની જાણ થઇ હતી. રૂમમાં જઈને જોતા રૂપેનનો મૃતદેહ લટકતો હતો જ્યારે રિહાનના ગળામાંથી ગાળિયો છૂટી જવાના કારણે તે નીચે પડી ગયો હતો. પડોશીઓની મદદથી તેમણે બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જેમાંથી એકને ફરજ પર હાજર તબીબોએ મૃત ઘોષિત કર્યો હતો, જ્યારે બીજાની સારવાર શરૂ કરી હતી.
બંને ભાઈઓ એક ખાનગી શાળામાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે અને હાલ તેમની NEET પરીક્ષા ચાલી રહી હતી. પરીક્ષાના તણાવના કારણે બંનેએ આ અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. પરીક્ષા આપીને ઘરે આવ્યા બાદ ખરાબ પરિણામના ડરે બંનેએ ફાંસો ખાઈ લીધો હોવાની આશંકા છે.
હાલ આ મામલે લક્ષ્મીપુરા પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મથકના પીએસઆઈ આર.કે ગોસાઈએ જણાવ્યું કે, પરીક્ષાના કારણે બંને ભાઈઓ ડિપ્રેશનમાં આવી ગયા હોય અને આ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક નજરે લાગી રહ્યું છે. આ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને મૃતકનું પોસ્ટ મોર્ટમ કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp