ઉદ્ધવ ઠાકરેએ કહ્યું : “બાળાસાહેબ ઠાકરેએ કહ્યું હતું કે મોદીને હટાવવામાં આવશે તો હિન્દુત્વને મોટું નુકસાન થશે!”
પોલિટિકલ ડેસ્ક : રાજનીતિ એ શક્યતાઓનો ખેલ છે. અહીં વારંવાર એક વાત સાબિત થતી રહે છે કે કોઈ કોઈનો કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતો. પણ એ વાત ખરી કે જ્યારે એક સમયના પાકા મિત્રો દુશ્મન બને ત્યારે એટલા જ કટ્ટર દુશ્મન સાબિત થાય છે. સેના-ભાજપના સંબંધોમાં આ સત્ય વારંવાર પ્રતિબિમ્બિત થતું રહે છે. મરાઠી દૈનિકને આપેલી એક મુલાકાતમાં ઉદ્ધવ ઠાકરેએ (Udhdhav Thakeray) કહ્યું હતું કે એમના પિતા બાળાસાહેબ (Bala Saheb Thakeray) બહુ ભોળા હતા, જે હિદુત્વની વાતે ભોળવાઈ જતા હતા! ભાજપ હિન્દુત્વ મુદ્દે રાજનીતિ કરે છે. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સરકાર ઉપર કેન્દ્રિય એજન્સીઓના દુરુપયોગનો આરોપ પણ મૂક્યો હતો. એ સાથે જ એમણે બાળાસાહેબે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (Narendr Modi) વિષે કહેલી વાતનો ભૂતકાળ પણ યાદ કર્યો હતો.
મુ.મંત્રી ઉદ્ધવ ઠાકરેના વિધાન પાછળનો ભૂતકાળ જાણવા જેવો છે. 2002માં ગોધરા ખાતે કારસેવકોની બોગીને આગ લગાડાઈ, જેમાં અનેક હિંદુ કારસેવકો બળીને ભડથું થઇ ગયા. આ ઘટના ‘ગોધરાકાંડ’ તરીકે પ્રખ્યાત થઇ, જેના પ્રત્યાઘાત રૂપે સમગ્ર ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. એ સમયે ભારતના પ્રધાનમંત્રીપદે શ્રી અટલબિહારી વાજપેયીજી હતા, જેમણે એક જાહેર કાર્યક્રમમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાજધર્મની યાદ અપાવી હતી. વિપક્ષના નેતાઓને આ ઘટનાક્રમમાં મુસ્લિમોનો પક્ષ લઈને મુસ્લિમ તુષ્ટિકરણ કરવાની મોટી તક દેખાઈ હતી. આથી એ સમયે કોંગ્રેસ સહિતના તમામ પક્ષોએ સમૂહ માધ્યમોની મદદથી તેમજ કેટલાક એનજીઓની મદદથી તત્કાલીન ગુજરાત સરકારને મુસ્લિમ વિરોધી ચિતરવાની ભરપૂર કોશિષ કરી હતી. એ વખતે ઘણા નેતાઓ એવું માનતા હતા કે વિપક્ષોના દબાણ હેઠળ વાજપેયીજી ગુજરાતના મુખ્યમંત્રી પદેથી મોદીની હકાલપટ્ટી કરશે.
આ સમય દરમિયાન ભાજપના કેટલાક નેતાઓ પણ વિપક્ષી દબાણથી ગભરાઈને એવું માનવા લાગ્યા હતા કે મોદીને કારણે પક્ષની છબીને નુકસાન પહોંચી રહ્યું છે. (જો કે પાછળથી મોદી સરકારે વિધાનસભામાં જંગી બહુમતી મેળવીને લોકપ્રિયતાની ટોચે પહોચીને આ માન્યતા સદંતર ખોટી ઠેરવી હતી.)
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભૂતકાળ યાદ કરતા કહ્યું કે એ દિવસો દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા અડવાણીજી (Advani) મુંબઈ ખાતે એક રેલીમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા. રેલી પૂરી થઇ ગયા બાદ તેઓ બાળાસાહેબની મુલાકાતે પહોંચ્યા હતા. કોઈક વિષયને લઈને એમના મનમાં અસમંજસ હોય, એવું લાગતું હતું. એમણે એવું કહ્યું કે પોતે બાળાસાહેબ સાથે એકાંતમાં કેટલીક ચર્ચા કરવા માંગે છે. આથી ઉદ્ધવ ઠાકરે અને પ્રમોદ મહાજન ત્યાંથી ખસી ગયા હતા.
અડવાણીજીએ બાળાસાહેબ સાથે મુખ્યમંત્રી મોદી વિષે ચર્ચા કરી ત્યારે બાળાસાહેબ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મોદીને સ્પર્શ કરવાથી દૂર રહેવું જોઈએ. જો મોદીને ખસેડવામાં આવશે તો ભાજપ ગુજરાતમાં હારી જશે. અને હિન્દુત્વને હાનિ પહોંચશે. ભાજપે એ પછી મોદીને હટાવવાનો વિચાર પડતો મૂક્યો, એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.
જો કે હાલમાં જ્યારે મોદી અને ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ છાવણીમાં બેઠા છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ આ જાણીતો ભૂતકાળ શા માટે યાદ કર્યો, એ ચર્ચાનો વિષય છે. ઉદ્ધવે એમ પણ કહ્યું હતું કે પોતે એક વ્યક્તિ તરીકે નરેન્દ્ર મોદીનું સનમાન કરે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp