મોટો બદલાવ : ભાજપે અચાનક એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી દીધી! આજે સાંજે લેશે શપથ
નેશનલ ડેસ્ક : મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો દાવો કર્યા પછી ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી જેમાં તેમણે બધાને ચોંકાવી એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે જાહેર કર્યા. મહારાષ્ટ્રમાં લાંબા સમયથી પડેલી મડાગાંઠ આજે ઉકેલાઈ ગઈ, પણ કંઈક એવી રીતે ઉકેલાઈ કે લોકો આશ્ચર્યચક્તિ થઇ ગયા. ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે મોડી સાંજે રાજીનામું આપ્યું, એ પછી દેવેન્દ્ર ફડણવીસનું મુખ્યમંત્રી બનવું લગભગ નિશ્ચિત મનાતું હતું. પણ આંજે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપે મોટો ઝાટકો આપ્યો હતો.
રાજકારણ અનિશ્ચિતતાઓનો ખેલ છે. એમાંય ભાજપનું રાજકારણ તો અનિશ્ચિતતાઓને કંઈક અલગ જ ઊંચાઈએ લઇ જવા માટે પ્રખ્યાત છે. મુખ્યમંત્રીપદ હોય, કે રાષ્ટ્રપતિપદ, ભાજપ ખરા સમયે એવું નામ સામે લાવીને મૂકે છે કે વિરોધપક્ષો લાંબો સમય માટે સુન્ન મારી જાય, અને ભાજપનો ઘોડો સડસડાટ રાજકારણની રેસની ફિનિશલાઈન પાર કરી જાય! આજે મહારાષ્ટ્ર બાબતે વધુ એક વાર આ વાત સાચી પડી છે.
આજે છેલ્લે સુધી ટીવી ચેનલ્સ પર દેવેન્દ્ર ફડણવીસનું નામ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે ચાલી રહ્યું હતું. અનેક કાર્યકરો-નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન આપવાની પણ શરૂઆત કરી દીધી હતી. પરંતુ અત્યારે ચાલી રહેલી પ્રેસ કોન્ફરન્સમાં ખુદ દેવેન્દ્ર ફડણવીસે નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેના નામની જાહેરાત કરી હતી.
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે ગુરુવારે સાંજે 7:30 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજભવનમાં એકલા મુખ્યમંત્રી શિંદે શપથ લેશે. દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી.
બંને રાજભવન ખાતે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યા હતા અને ફડણવીસે મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે દાવો કર્યો હતો જ્યારે શિંદે જૂથે ભાજપને સમર્થન આપવાનું વચન આપ્યું હતું. અગાઉ, આજે એક પ્રેસ બ્રીફિંગમાં બળવાખોર સેના કેમ્પના પ્રવક્તા દીપક કેસરકરે કહ્યું, “અમે 2019ની ચૂંટણી ભાજપ સાથે લડી હતી, જેને મહારાષ્ટ્રના લોકોએ મત આપ્યો હતો. અમે ત્યારે આપેલા વચનો પૂરા કરવાના છીએ.”
એકનાથ શિંદે ગુરુવારે ગોવાથી મુંબઈ પહોંચ્યા હતા. તેમને કેન્દ્ર દ્વારા Z શ્રેણી સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું. એરપોર્ટ જતા સમયે શિંદેએ પત્રકારોને જણાવ્યું કે તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. દરમિયાન, બળવાખોર ધારાસભ્યો ગોવામાં રોકાયા છે, જ્યાં તેઓ ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ બુધવારે પહોંચ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp