આ તારીખથી 12 થી 14 વર્ષના બાળકો માટે રસીકરણ શરૂ થઈ શકે છે, 15+ બાળકોમાં 45% રસીકરણ
નેશનલ ડેસ્ક: ભારતમાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન શરૂ થયાને એક વર્ષ થઈ ગયું છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, દેશની 70% વસ્તીને રસી આપવામાં આવી છે, જ્યારે 93% લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે. આ વર્ષે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોને રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ઇમ્યુનાઇઝેશન પર નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ એટલે કે NTGAIના અધ્યક્ષ ડૉ. એન કે અરોરાએ જણાવ્યું છે કે દેશમાં 12 થી 14 વર્ષના બાળકોનું કોરોના રસીકરણ ફેબ્રુઆરી અથવા માર્ચના છેલ્લા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે
હાલમાં, દેશમાં 15 થી 18 વર્ષની વય જૂથના કિશોરોનું રસીકરણ ચાલી રહ્યું છે, જે આ વર્ષે 3 જાન્યુઆરીથી શરૂ થયું હતું. આ વયના કિશોરોએ પણ રસીકરણ અભિયાનમાં સક્રિયપણે ભાગ લીધો છે. અભિયાનના પહેલા જ દિવસે દેશમાં 42 લાખથી વધુ બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. 15 થી 18 વર્ષની વય જૂથના 3.31 કરોડ બાળકોએ અત્યાર સુધીમાં રસીનો પ્રથમ ડોઝ લીધો છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં આ વયજૂથના 45 ટકા બાળકોને માત્ર 13 દિવસમાં આવરી લેવામાં આવ્યા છે.
ડૉ. અરોરાએ કહ્યું કે, 'દેશમાં 15 થી 17 વર્ષની વયના 7.4 કરોડ બાળકો છે. સરકારનો ધ્યેય જાન્યુઆરીના અંત સુધીમાં આ તમામ બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવાનો છે. ત્યારબાદ ફેબ્રુઆરીથી બીજો ડોઝ આપવા માટે અભિયાન શરુ થશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં બીજા ડોઝનો ટાર્ગેટ પણ પૂરો થઈ જશે. તેથી જ દેશમાં 12 થી 14 વર્ષના બાળકોનું કોરોના (Corona) રસીકરણ ફેબ્રુઆરીના અંતથી અથવા માર્ચના પ્રથમ સપ્તાહથી શરૂ થઈ શકે છે.'
ડૉ. એન કે અરોરાએ કહ્યું કે, '12 થી 17 વર્ષના બાળકો પુખ્ત વયના લોકો જેવા જ હોય છે. તેમને કોરોના સામે રક્ષણ પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. આ ઉંમરના બાળકોની દિનચર્યા ખૂબ જ ગતિશીલ હોય છે. તેમને શાળા-કોલેજમાં જવું, મિત્રોને મળવું, રમત ગમત વગેરે જેવી ઘણી પ્રવૃત્તિ હોય છે. તેથી તેઓ ચેપનું જોખમ વધારે છે તેમજ ઓમિક્રોન (Omicron)ના આગમનથી આ જોખમ વધી ગયું છે. તેથી, સરકાર હવે આ બાળકોને પ્રાથમિકતા પર લઈ રહી છે અને શક્ય તેટલી વહેલી તકે તેમને રસી અપાવવા માંગે છે.'ઈન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. પ્રમોદ જોગે જણાવ્યું હતું કે, સરકારે કોઈપણ રોગથી પીડિત 5 થી 14 વર્ષની વયના બાળકોને પણ રસીના દાયરામાં લાવવા જોઈએ.
દેશમાં કોરોનાની ગતિ બેકાબૂ થઇ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 2 લાખ 58 હજાર 89 નવા કેસ સામે આવ્યા છે અને આ રોગચાળાને કારણે 385 લોકો મૃત્યુ પામ્યા છે. જો કે આ દરમિયાન 1 લાખ 51 હજાર 740 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp