પત્રકાર વિનોદ દુઆનું 67 વર્ષની વયે નિધન, આવતીકાલે અંતિમ સંસ્કાર કરાશે
નવી દિલ્હી: વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું (Vinod Dua) 67 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનની જાણકારી તેમની પુત્રી મલ્લિકા દુઆએ (Mallika Dua) સોશિયલ મીડિયા મારફતે આપી હતી. વિનોદ દુઆ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તેમની સારવાર પણ ચાલી રહી હતી.
મલ્લિકા દુઆએ વિનોદ દુઆને એક અસાધારણ અને નીડર વ્યક્તિ ગણાવતા કહ્યું કે તેઓ દિલ્હીની એક શરણાર્થી કોલોનીમાં ઉછરીને પત્રકારત્વના શિખર સુધી પહોંચ્યા હતા. મલ્લિકાએ દાવો કરતા કહ્યું કે તેમના પિતાએ તેમના 42 વર્ષના પત્રકારત્વની કારકિર્દી દરમિયાન હંમેશા સત્ય માટે અવાજ ઉઠાવ્યો હતો.
તેમની પુત્રીના જણાવ્યા અનુસાર, વિનોદ દુઆના અંતિમ સંસ્કાર આવતીકાલે લોધી ક્રેમાટોરિયમમાં કરવામાં આવશે. કોરોનાની બીજી લહેરમાં વિનોદ દુઆ અને તેમના પત્ની સંક્રમિત થઇ ગયા હતા અને બંનેની લથડતી તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં વિનોદ દુઆ તો બચી શક્યા હતા પરંતુ તેમની પત્નીનું 12 જૂનના રોજ અવસાન થઇ ગયું હતું.
છેલ્લા થોડા સમયથી તેમની તબિયત વધુ બગડી હતી અને જેના કારણે તેમને હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. બે દિવસ પહેલા તેમના મૃત્યુની અફવા પણ ઉડી હતી. તે સમયે તેમની પુત્રીએ અફવાનું ખંડન કરતા કહ્યું હતું કે, તેમના પિતા આઈસીયુમાં છે અને તેમની સ્થિતિ ગંભીર છે.
67 વર્ષીય વિનોદ દુઆએ દૂરદર્શન અને એનડીટીવી જેવી ન્યુઝ ચેનલોમાં પત્રકાર તરીકે કામ કર્યું હતું. વર્ષ 1996 માં પહેલા ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર હતા જેમને રામનાથ ગોયન્કા એવોર્ડ અપાયો હતો. ત્યારબાદ વર્ષ 2008 માં ‘પત્રકારત્વમાં શ્રેષ્ઠ પ્રદાન’ માટે તેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp