ઘરકંકાસે ક્રૂરતાની હદ વટાવી, પત્નીએ પતિને જીવતો સળગાવ્યો; સમગ્ર પંથક ચર્ચાના ચગડોળે
ગુજરાત ડેસ્ક : લગ્નસરાની મોસમ ચાલી રહી છે. પતિ-પત્ની એકબીજાને અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરી જન્મોજન્મ સાથ નિભાવવાના વચન આપે છે. પરંતુ પ્રેમ, સમર્પણ, ત્યાગ, સહકાર અને આદરના વચનો સમય જતાં હવામાં બાષ્પીભવન પામે છે અને લગ્નનો સાક્ષી 'અગ્નિ' રોજબરોજના ઝગડાથી ઘરકંકાસનો દાવાનળ બની જાય છે. ઘણીવાર આ દાવાનળની જવાળાઓ એટલી ભયાનક હોય છે, જે બેમાંથી એકને મોતને ઘાટ ઉતારીને જ શાંત થાય છે. આવો જ એક ભયાવહ કિસ્સો ભાવનગરનાં (Bhavnagar) તળાજા તાલુકાના સરતાનપર ગામે બન્યો છે. જ્યાં પત્નીએ પતિને જીવતો સળગાવી દેતા ખળભળાટ મચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરનાં તળાજા તાલુકાના સરતાનપર ગામે ઘરકંકાસમાં પત્નીના ક્રોધે હદ વટાવી દીધી હતી. ખેતમજૂરીનું કામ કરતા આધેડને તેની પત્નીએ ખાટલે બાંધીને સળગાવી દઈ હત્યા કર્યાનો બનાવ બન્યો છે. સરતાનપરમાં રહેતા સવજીભાઈ જીવાભાઈ બારૈયા (ઉં.વ. આશરે 44) ગઈકાલે બપોરે 3.15 કલાકના અરસામાં તેમના ઘરે લીમડાના ઝાડ નીચે ખાટલો રાખી સૂતા હતા ત્યારે નિંદ્રાધીન પતિને તેમનાં પત્ની મધુબેન સવજીભાઈ બારૈયાએ ખાટલે દોરી વડે બાંધી કેરોસિન છાંટી સળગાવી દીધા હતા. મધુબેને ક્રૂરતાની હદ પાર કરી નાંખી હતી. સળગતા પતિને કોઈ બચાવવા ન આવે એ માટે તે લાકડી લઈને આડી ઊભી રહી ગઈ હતી અને લોકોને પતિને બચાવવા જતાં અટકાવતી હતી. આખરે આગની જવાળામાં તડપતા સવજીભાઈનું મોત થયું હતું.
તળાજા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ અંગે લક્ષ્મણભાઈ જીવાભાઈ બારૈયાએ તળાજા પોલીસ મથકમાં મધુબેન સવજીભાઈ બારૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘણા લાંબા સમયથી પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો, જેનો આવો કરુણ અંજામ આવશે તેવું કોઈએ સ્વપ્ને પણ વિચાર્યું ન હતુ. અવારનવાર થતાં ઝઘડાએ એવું સ્વરૂપ લીધું કે પત્નીએ ક્રોધના આવેશમાં પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ કેસમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘરકંકાસના કારણે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. આ દંપતીને સંતાનમાં અનિતા નામની એક દીકરી છે, જેના લગ્ન થઈ ચૂકયા છે. આ મામલે પોલીસે મહિલાની અટક કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp