ગાંધીનગર: દેશના અનેક રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ તીવ્ર ગતિએ વધતા લોકડાઉન અને રાત્રિ કર્ફ્યુ જેવા પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ લોકડાઉનને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આવ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાજ્યમાં કર્ફ્યુ કે લોકડાઉન લાગુ કરવા અંગે આજે સાંજે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લઈશું.
મીડિયા અહેવાલો પ્રમાણે, આજે રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે, જેમાં લોકડાઉન લાગુ કરવા અંગે કે પ્રતિબંધો લગાવવા અંગે ચર્ચા કરવામાં આવશે. સરકારની આ બેઠક બાદ મુખ્યમંત્રી એક પ્રેસ કોન્ફરન્સ યોજશે, જેમાં નિર્ણયો અંગે માહિતી આપવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર, સરકાર આંશિક પ્રતિબંધોને વધુ કડક બનાવી શકે છે તેમજ ૨૯ શહેરોમાં લાગુ પ્રતિબંધોની મુદત વધારવાની સાથે અન્ય પ્રતિબંધોમાં પણ વધારો કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના ૨૯ શહેરોમાં લાગુ કરવામાં આવેલ રાત્રિ કર્ફ્યુની મુદત પણ કાલે પૂરી થઇ રહી છે. જેથી અનુમાન છે કે હાલની રાજ્યની કોરોનાની સ્થિતિને જોતા સરકાર વધુ થોડા સમય સુધી રાત્રિ કર્ફ્યુમાં વધારો કરી શકે છે તેમજ નવા પ્રતિબંધો પણ લાગુ કરી શકે છે.
આ દરમિયાન મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓ તેમજ પૌષ્ટિક આહાર-ભોજન વિતરણની વ્યવસ્થા નિહાળી પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.
તેમણે હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓના સગાઓને મળી ખબર-અંતર પૂછીને તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ ઘરે જાય તેવી શુભેચ્છાઓ આપીને આ માટે જરૂરી તમામ મદદ કરવાની રાજ્ય સરકાર વતી દર્દીઓના સગાઓને ખાતરી પણ આપી હતી