"ફિલ્મોમાં પોલીસનું ખોટું ચિત્રણ થાય છે, કોરોના કાળમાં બધાએ માનવ ચહેરો જોયો"; પીએમ મોદીએ કહ્યું
ગુજરાત: ૧૨ માર્ચ શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા યુનિવર્સિટીના ભવ્ય બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન આયોજિત નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશની સુરક્ષા તેમજ સુરક્ષા કર્મચારીઓને સંબોધીને ઘણી વાતો કરી હતી તેમજ તેમણે મહિલા સશક્તિકરણનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે આપણા દેશની કમનસીબી છે કે ફિલ્મોમાં પોલીસની છબી ખોટી રીતે બતાવવામાં આવે છે. પરંતુ સોશિયલ મીડિયા પર આપણે જોયું કે પોલીસે કોરોના સમયગાળા દરમિયાન જે પણ સારું કામ કર્યું છે તેના ઘણા ફોટો અને વિડીયો પણ વાયરલ થયા છે. દવા, ખોરાક અને લોકોને હોસ્પિટલમાં પહોંચાડ્યા. આ કોરોના કાળમાં પોલીસની માનવતાનો ચહેરો જોવા મળ્યો.ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પર ભાર આપતા પીએમ મોદીએ કહ્યું કે આ માટે ટ્રેનિંગની જરૂર છે. ડિફેન્સમાં માત્ર ફિટનેસથી કામ નહીં ચાલે તેની સાથે ટેક્નોલોજી પણ અપડેટ કરવી પડશે જેના માટે ટ્રેનર્સની જરૂર છે.
આરોપીઓને માનવી બનાવી શકે
પીએમ મોદીએ કહ્યું કે જેલ વ્યવસ્થાને આધુનિક બનાવવી પડશે. આરોપીઓનું હૃદય પરિવર્તન કેવી રીતે કરવામાં આવે તે અંગે પણ ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. આ માટે અહીં એવા નિષ્ણાતો તૈયાર કરવા પડશે જે આરોપીઓને માનવી બનાવી શકે. તેમણે કહ્યું કે ડિફેન્સ યુનિવર્સિટીનું આ કેમ્પસ લોકો અને દેશ માટે ખૂબ જ મોટું ઉદાહરણ બનશે. આ માટે હું દરેકને અભિનંદન આપું છું તેમજ હું સમાજના સારા વર્ગના બાળકોને પ્રવેશ લેવા માટે અપીલ કરું છું. આ ડિફેન્સ યુનિવર્સિટી એવા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ રાષ્ટ્રનું રક્ષણ કરે છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ડિફેન્સ યુનિવર્સિટી સમગ્ર દેશમાં ફેલાવવી જોઈએ.
આજે ખાનગી સુરક્ષાની પણ સારી માંગ છે. આ માટે ઘણી બધી તકો પણ રાહ જોઈ રહી છે. મને ખાતરી છે કે મારા યુવા સાથીઓ દેશને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છે. પીએમ મોદીએ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતા કહ્યું કે આજે સંરક્ષણ ક્ષેત્રમાં દીકરીઓ સારી સંખ્યામાં છે. સેનામાં સિનિયર હોદ્દા પર દીકરીઓ આગળ વધી રહી છે. એનસીસીમાં દીકરીઓ પણ છે તેમજ સરકાર એનસીસીનું ધોરણ ઊંચું લાવવા માટે ઘણું કામ કરી રહી છે.
પીએમએ જણાવ્યું હતું કે યુનિફોર્મનું સન્માન જાળવવું એ આપણા બધાની ફરજ છે. આ સન્માન ત્યારે જ વધે છે જ્યારે માતા-બહેન, પીડિત, દલિત લોકો માટે કંઈક કરવાની ઈચ્છા હોય છે તે માટે જીવનમાં માનવીય મૂલ્યો અપનાવવા પડે છે. આ યુનિફોર્મ પ્રત્યે લોકોનો લગાવ જળવાઈ રહે તેવો ઠરાવ કરવો પડશે તેમજ યુનિફોર્મ પહેરીને પણ માનવતાની ભાવના જાળવી રાખવી જોઈએ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp