જીત બાદ હવે આ તારીખે શપથ લેશે યોગી આદિત્યનાથ : પીએમ મોદી, મંત્રીમંડળ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે
લખનઉ: વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly elections 2022) પ્રચંડ બહુમતીથી જીત મેળવ્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Aadityanath) હવે સતત બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ (Oath) લેવા માટે જઈ રહ્યા છે. હોળાષ્ટક ચાલતા હોવાના કારણે પાર્ટીએ તેમનો શપથગ્રહણ સમારોહ પાછળ ઠેલ્યો હતો. જે બાદ ગઈકાલે શપથવિધિની તારીખ જાહેર કરવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, આગામી 25 માર્ચના રોજ મહંત યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે બીજી વખત પદ અને ગોપનીયતાના શપથ લેશે. આ શપથગ્રહણ સમારોહ લખનઉના ઇકાના સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ ઉપસ્થિત રહેશે.
માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નહીં, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ તેમજ અન્ય કેન્દ્રીય મંત્રીઓ તથા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા તેમજ ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, આરએસએસ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો સીએમ યોગીના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપશે. કાર્યક્રમમાં પચાસ હજારથી વધુ ભાજપ સમર્થકો ઉમટી પડશે તેવી ગણતરી છે.
આ કાર્યક્રમમાં ભાજપના સહયોગી પક્ષોના પ્રમુખો પણ હાજરી આપશે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના નેતાઓને પણ આમંત્રણ પાઠવવામાં આવશે. જેમાં અખિલેશ યાદવ, જયંત ચૌધરી, માયાવતી વગેરેનો સમાવેશ થાય છે. જોકે, હજુ એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે 25 તારીખે માત્ર મુખ્યમંત્રી જ શપથ લેશે કે મંત્રીમંડળના મંત્રીઓને પણ તેમની સાથે જ શપથ લેવડાવવામાં આવશે.
યુપી વિધાનસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ ગઈ. જેમાં કુલ 403 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાંથી ભાજપ ગઠબંધને કુલ 273 બેઠકો મેળવી હતી. ભાજપે 255 તેમજ અપના દળ (એસ) 12 અને નિષાદ પાર્ટીએ 6 બેઠકો પર જીત મેળવી હતી. બીજી તરફ, પ્રમુખ વિપક્ષી પાર્ટીઓમાં સમાજવાદી પાર્ટીએ 111 બેઠકો પર જીત મેળવી અને તેમના સહયોગી રાલોદ અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ અનુક્રમે આઠ અને છ બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસની હાલત દયનીય બની હતી. પાર્ટી માત્ર બે જ બેઠકો મેળવી શકી અને સામે 97 ટકા બેઠકો પર ડિપોઝીટ જપ્ત થઇ ગઈ હતી!
શપથ લેવા જઈ રહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જીવનની પ્રથમ વિધાનસભા ચૂંટણી લડ્યા હતા તો અખિલેશ યાદવ પણ તેમના જીવનની પહેલી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. બંને નેતાઓ પોતપોતાની બેઠક પર જીત્યા હતા. જેમાં યોગી આદિત્યનાથ ગોરખપુર બેઠક પરથી એક લાખથી વધુ મતોએ વિજયી બન્યા હતા. જોકે, અખિલેશ યાદવ ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે તેવી શક્યતા છે કારણ કે તેઓ હાલ સાંસદ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp