ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કરતાં ભાજપમાં જ ખળભળાટ, જાણો શા માટે?
ભાજપે પાંચ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કરી છે. પરંતુ ભાજપે પક્ષપલટો કરીને આવેલા કોંગ્રેસી નેતાઓને આ બેઠકો પર ટિકિટ આપી છે. ભાજપે છેલ્લા ત્રણ મહિનામાં કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવારોને પેટાચૂંટણીમાં ટિકિટ આપી સૌને ચોંકાવી દીધા છે. જેમાં પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વિજાપુરથી સી.જે.ચાવડાને ટિકિટ અપાઈ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં આ પાંચેય બેઠકો પર ઉમેદવાર જાહેર કરાયા નથી.
182 સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધીમાં છ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કોંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે. જેને લઈને આ ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો માટે લોકસભા ચૂંટણીની સાથે જ પેટાચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠકો પોતાના નામે કરવા રાજકીય પક્ષોએ કમર કસવી પડે તેમ છે.
ગુજરાતમાં સાતમી મેએ લોકસભાની 26 બેઠકો સાથે રાજ્યની ખાલી પડેલી છ બેઠકોમાંથી પાંચ વિધાનસભા બેઠકો (ખંભાત, વિજાપુર,વાઘોડિયા, પોરબંદર અને માણાવદર) પર પણ પેટાચૂંટણી યોજાશે. 4 કોંગ્રેસ, 1 આપ અને 1 અપક્ષના નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આ નેતાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. વિસાવદર બેઠકનો મામલો કાયદાકીય દાવપેચમાં ગૂંચવાયેલો હોવાથી આ બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરાઈ નથી.
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજાનાર છે. જેમાં ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકોને લઈ ચર્ચા થશે. આ બેઠકમાં જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને ક્લસ્ટર ઈન્ચાર્જ હાજર રહેશે. સાથે જ સાબરકાંઠાના વિવાદ બાદ ભીખાજી ઠાકોર પણ કમલમ કાર્યાલય ખાતે હાજર રહેશે. બેઠકમાં લોકસભા ચૂંટણીને રણીનીતિ અને કામગીરી અંગે ચર્ચા થશે.
બીજી તરફ, ચૂંટણીની જાહેરાત છતાં ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ બાકી છે. સૌરાષ્ટ્રની 3 સહિત 7 બેઠક પર કોકડું ગૂંચવાયું છે. કોંગ્રેસે 7 બેઠકો પર હજુ પણ ઉમેદવાર જાહેર કર્યા નથી. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં ઉમેદવાર જાહેર નથી કર્યા, તો વડોદરા અને અમદાવાદ પૂર્વમાં ઉમેદવારની જાહેરાત પણ બાકી છે. નવસારીમાં કોંગ્રેસે ઉમેદવાર જાહેરાત બાકી છે. આ માટે કોંગ્રેસની આવતીકાલે મળનારી CEC બેઠકમાં ઉમેદવારોના નામ પર મહોર લાગશે. એક તરફ ભાજપે પેટાચૂંટણીના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે, ત્યારે કોંગ્રેસના હજી કોઈ ઠેકાણા નથી દેખાતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp