આજે વિશ્વ સિંહ દિવસ : ગુજરાતમાં 2010ની સરખામણીએ 2020માં સિંહોની વસ્તીમાં 64 ટકાનો વધારો! જાણો સિંહની સંખ્યા સામે સિંહણની સંખ્યા
સાવજનએ ગુજરાતની ઓળખ અને રાજ્યનું ઘરેણું ગણવામાં આવે છે. ત્યારે આજે ૧૦મી ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારના વનવિભાગના જતન-સંવર્ધનના સાર્થક પ્રયાસોના કારણે સિંહની વસ્તીમાં વધારો પણ થઈ રહ્યો છે. ત્યારે વર્ષ ૨૦૨૦ની ગણતરી મુજબ, રાજ્યમાં સિંહની વસતી ૬૭૪ છે. મહત્ત્વનું છે કે, આ ગણતરીમાં જંગલના રાજા સિંહ કરતાં સિંહણની વસ્તી વધુ જોવામાં આવી છે.
ગીર જંગલના પૂનમ અવલોકન ૫-૬-જૂન, ૨૦૨૦ના અહેવાલ મુજબ, ગીરમાં પુખ્ત સિંહની સંખ્યા ૧૬૧ સામે સિંહણની સંખ્યા ૨૬૦ છે. જ્યારે સબ એડલ્ટ સિંહ ૪૫ તો સબ એડલ્ટ સિંહણ ૪૯ છે. તથા ૨૨ની જાતિ જાણી શકાઈ નથી. ૧૩૭ સિંહબાળ છે. આમ ૬૭૪ સિંહ વસતી હોવાનું જાણવા મળી રહ્યું છે. નોંધનિય છે કે ગીરમાં પુખ્ત સિંહ-સિંહણની વસતીનો રેશિયો ૧:૧.૬૧ જોવામાં આવ્યો છે.
સિંહની ગણતરીમાં ૬૭૪ સિંહ વસતી કુલ મળીને ૨૯૪ સ્થળો પર જોવા મળી છે. જેમાં ૫૨.૦૪ ટકા સિંહ જંગલ વિસ્તારમાં જોવા મળ્યા છે. જ્યારે ૪૭.૯૬ ટકા જંગલ બહારના વિસ્તારમાં દેખાયા હતા. જેમાં ૨૬.૧૯ ટકા સિંહ વેરાન જમીન, તો ૧૩.૨૭ ટકા સિંહ ખેતી વિસ્તાર અને ૩.૭૪ ટકા સિંહ નદીકાંઠા વિસ્તાર તથા ૨.૦૪ ટકા સિંહ એગ્રીકલ્ચરલ પ્લાન્ટેશન, ૨.૦૪ ટકા સિંહ માનવ વસ્તી નજીક જ્યારે ૦.૬૮ ટકા ઔદ્યોગિક વિસ્તાર નજીક દેખાયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે.
વધૂમા વર્ષ ૨૦૧૫માં સિંહની વસ્તી ૫૨૩ નોંધાઈ હતી, જે અગાઉના વર્ષો કરતાં ૨૭ ટકા વધુ હતી. પરંતુ વર્ષ ૨૦૨૦માં સિંહની વસ્તી ૬૭૪ થઈ છે. જે અગાઉના વર્ષ કરતાં ૨૮.૮૭ ટકાની, છેલ્લા કેટલાક સમયની સર્વાધિક વૃદ્ધિ દર્શાવે છે. વર્ષ ૨૦૧૫માં સિંહ સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ૨૨ હજાર કિલોમીટર વિસ્તારમાં જોવા મળ્યા હતા, જ્યારે વર્ષ ૨૦૨૦માં સૌરાષ્ટ્રના નવ જિલ્લામાં ૩૦ હજાર કિલોમીટરમાં જોવા મળ્યા છે. જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરના ૫૩ તાલુકાઓનો સમાવેશ થાય છે.
આમ સિંહ લેન્ડ સ્કેપમાં વર્ષ ૨૦૧૫ કરતાં વર્ષ ૨૦૨૦માં ૩૬ ટકા વૃદ્ધિ જોવા મળી છે. જો એક દાયકાનો સમયકાળ સાથે જોવામાં આવે તો, અગાઉના દાયકા ૨૦૧૦ કરતા ગત દાયકા ૨૦૨૦માં સિંહની વસ્તીમાં ૬૪ ટકાનો વધારો જોવા મળે છે. ૨૦૧૦માં ૨૦ હજાર ચોરસ કિલોમીટરમાં ૪૧૧ સિંહ હતા તેની સામે ૨૦૨૦માં ૩૦ હજાર ચો.કિ.મી.માં ૬૭૪ સિંહ છે.
પૂનમ અવલોકન-૨૦૨૦ મુજબ, કુલ નવ સેટેલાઇટ વિસ્તારોમાં સિંહની વસ્તી દેખાઈ છે. જેમાં સૌથી વધુ ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય તથા આસપાસના વિસ્તારોમાં ૩૩૪ સિંહ વસ્તી જોવા મળી છે. પાણીયા વાઇલ્ડલાઇફ અભયારણ્યમાં ૧૦ સિંહની વસતી, મિતિયાળા અભયારણ્યમાં ૧૬, ગીરનાર અભયારણ્યમાં ૫૬, દક્ષિણ-પશ્ચિમ દરિયાઈ કાંઠા (સુત્રાપાડા, કોડીનાર, ઉના, વેરાવળ) ક્ષેત્રમાં ૨૦, દક્ષિણ-પૂર્વ દરિયાઈ કાંઠા (રાજુલા, જાફરાબાદ, નાગેશ્રી)માં ૬૭, સાવરકુંડલા-લીલીયા અને અમરેલીના આસપાસના વિસ્તારોમાં ૯૮, ભાવનગર મેઇન લેન્ડમાં ૫૬, જ્યારે ભાવનગર દરિયાકાંઠામાં ૧૭ સિંહની વસ્તી જોવા મળી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp