ચૈત્ર સુદ પૂનમના દિવસે આ ગામમાં કોઈ નથી રહી શકતું, વર્ષો પહેલા કોઈ મહાત્માના શ્રાપના કારણે...,

ચૈત્ર સુદ પૂનમના દિવસે આ ગામમાં કોઈ નથી રહી શકતું, વર્ષો પહેલા કોઈ મહાત્માના શ્રાપના કારણે..., જાણો સમગ્ર વાત

04/23/2024 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

ચૈત્ર સુદ પૂનમના દિવસે આ ગામમાં કોઈ નથી રહી શકતું, વર્ષો પહેલા કોઈ મહાત્માના શ્રાપના કારણે...,

ગુજરાતમાં બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં આવેલું એંગોલા ગામ જ્યાં ચૈત્ર સુદ પૂનમને દિવસે માનવીય ચહલ પહલ સંપૂર્ણ બંધ થઈ જાય છે. આજના દિવસે ગામની સુખાકારી માટે સમગ્ર ગામના લોકો ઢોર ઢાંખર સહિત સવારથી જ ગામની બહાર જતા રહે છે. વર્ષોથી ગામવાસીઓ આ પરંપરા નિભાવી રહ્યા છે.

ચૈત્ર સુદ પૂનમને દિવસે પાલનપુર તાલુકાનું સમગ્ર ગામ સુમસામ ભાસે છે. ઢોર ઢાંખર સહિત ગ્રામજનો વહેલી સવારથી જ ગામ છોડી દે છે. અને ગામથી એક કિલોમીટર દૂર મહાકાળી માતાજીના મંદિરમા જઈને સમગ્ર ગ્રામજનો આરતી, હોમ હવન કરી અને કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર માતાજીના મંદિરમાં સમગ્ર રસોઈ બનાવી ત્યાં જ જમે છે. આખો દિવસ માતાજીની આરાધના કરી સાંજે આરતી બાદ જ  સમગ્ર ગ્રામજનો ગામમા પ્રવેશ કરે છે.


વર્ષો પહેલા કોઈ મહાત્માના શ્રાપના કારણે સમગ્ર ગામ વ્યથિત હતું

લોકોનું માનવું છે કે, વર્ષો પહેલા કોઈ મહાત્માના શ્રાપના કારણે સમગ્ર ગામ વ્યથિત હતું. સમગ્ર ગામમાં રોગચાળો પ્રસર્યો હતો અને આંતરે દહાડે ગામમાં લોકોના મોત થઈ રહ્યા હતા. ત્યારે ગ્રામજનોની પીડા અને દુઃખ જોઈ મંદિરના પુજારીને અનોખો ભાવ પ્રગટ થતાં ગ્રામજનો તેમજ પુજારીએ માતાજીનું સ્મરણ કરી સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. એ વખતે ગ્રામલોકોએ એવો સંકલ્પ કર્યો હતો કે, ચૈત્ર સુદ પૂનમના દિવસે ગામમાંથી તમામ લોકો એક જ રસ્તેથી બહાર નીકળી માતાજીના મંદિરમા આવી પૂજા અને હવન કરી માતાજીની ભક્તિ કરી સુખડી અને ખીરનો પ્રસાદ કરી સાથે મળી ભોજન કરશે.

કહેવાય છે કે ગામમાં રોગચાળો ફાટયા બાદ માતાજીનો અથાગ ભાવ પ્રગટ થતાં શ્રી મહાકાળી માતાજીના મંદિરે જઇ ગ્રામજનોએ આજીજી કરી હતી અને જાણે ચમત્કાર થયો હોય તેમ તે બાદ ગામની સુખાકારી વધી હતી. ત્યારથી એકોતરા વર્ષે ચૈત્રી પૂનમે ગામના અબાલ વૃધ્ધ સૌ કોઇ વહેલી સવારે શુભમૂર્હૂતમાં ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી ગામ બહાર જાય છે. લોકો આજના દિવસે સમગ્ર પરિવાર સાથે મંદિરે આવી આખો દિવસ માતાજીની આરાધના કરે છે. ગામમાં જેટલા ઘર હોય તેટલા અલગ ચૂલા બનાવીને માતાજીનો પ્રસાદ અને ભોજન બનાવીને એકસાથે જમે છે અને આખો દિવસ મંદિરમાં જ રહીને પૂજા અર્ચના કરે છે.


સાંજે શુભ મુર્હતમાં પાછા વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ગામમાં પ્રવેશ

આજના દિવસે ગામમાં કોઈ પણ રહેતું નથી. આખું ગામ બિલકુલ ખાલી હોય છે. જો ગામમાં કોઈ વૃદ્ધ બીમાર હોય કે કોઈ મહિલાની ડિલિવરી હોય તો પણ તેને ગામથી બહાર ખેતરમાં લઈ જવાય છે, પણ ગામમાં કોઈને રહેવા દેવામાં આવતું નથી. ગામ બહારથી કોઈ આવેતો તેને ગામમ પ્રવેશ પણ આપવામાં આવતો નથી. અને સાંજે શુભ મુર્હતમાં પાછા વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ગામમાં પ્રવેશ કરે છે.

મહાકાળી માતાજીના મંદિરે એક નાથજી -મહાત્માના આદેશથી તા. 17-05-1979ના દિવસથી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી છે. જે આજદિન સુધી અખંડ છે. અહી દર માસની અજવાળી પુનમે લોકો પગપાળા પુનમ ભરવા આવે છે. એગોલામાં રહેતા કેટલાક ગ્રામજનો ધંધાર્થે મુંબઇ- અમદાવાદ સહિત અન સ્થળોએ સ્થાયી થયા હોય તે પણ આજના દિવસે અહીં આવે છે અને મંદિર પરિસરમાં અલગ ચૂલો બનાવીને સુખડી અને ખીરનો પ્રસાદ બનાવીને ભોજન કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top