09/02/2025
મુંબઈ પોલીસે મરાઠા આંદોલનકારીઓ સામે આઝાદ મેદાન ખાલી કરાવવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ દરમિયાન આંદોલનકારી નેતા મનોજ જરાંગેના સમર્થકો અને પોલીસકર્મીઓ વચ્ચે દલીલ થઈ હતી. જોકે, પોલીસ વહીવટીતંત્ર આંદોલનકારીઓને સમજાવવામાં અને શાંતિપૂર્ણ રીતે આંદોલન સમાપ્ત કરવાની માગ કરી રહ્યું છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ પર પોલીસે આઝાદ મેદાન ખાલી કરાવવા માટે આ કાર્યવાહી શરૂ કરી છે.
આ દરમિયાન, આંદોલનકારી નેતા મનોજ જરાંગે પાટીલે એક મોટી જાહેરાત કરતા પોતાના સમર્થકોને આંદોલન સ્થળ ખાલી કરવા કહ્યું છે. તેમણે કહ્યું છે કે વાહનો સાથે આવેલા આંદોલનકારીઓ મુંબઈની બહાર જશે અને માત્ર 5000 લોકો આંદોલન સ્થળ પર રહેશે. જોકે, પોલીસે આંદોલનકારીઓને સ્પષ્ટપણે કહ્યું છે કે બધા આંદોલનકારીઓએ આઝાદ મેદાન ખાલી કરવું પડશે. ત્યારબાદ આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે બહેસ થઈ ગઈ. તો આંદોલનકારીઓએ પણ સ્પષ્ટ કરી દીધું કે, જ્યાં સુધી મનોજ જરાંગે પાટીલ આઝાદ મેદાન ખાલી કરવાનો નિર્દેશ નહીં આપે, ત્યાં સુધી તેઓ આઝાદ મેદાન નહીં છોડે.