12/13/2025
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફને 3 ડેમોક્રેટિક સાંસદોએ ખુલ્લેઆમ પડકાર્યો છે. US હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો ડેબોરાહ રોસ (ઉત્તર કેરોલિના), માર્ક વેઝી (ટેક્સાસ) અને રાજા કૃષ્ણમૂર્તિ (ઇલિનોઇસ)એ એક પ્રસ્તાવ રજૂ કરીને રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા રદ કરવાની માંગ કરી છે, જેના હેઠળ ટ્રમ્પ વહીવટીતંત્રએ ભારતીય આયાત પર 50 ટકા સુધીનો ટેરિફ વધાર્યો હતો.
ડેમોક્રેટિક સાંસદો ડેબોરાહ રોસ, માર્ક વેઝી અને ભારતીય મૂળના રાજા કૃષ્ણમૂર્તિએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ ટેરિફ ગેરકાયદેસર છે, અમેરિકન હિતો વિરુદ્ધ છે અને સામાન્ય અમેરિકનોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. આ વાસ્તવમાં રોજિંદી વસ્તુઓ પર વધારાના ટેરિફ છે.’
ટ્રમ્પે 1 ઓગસ્ટ, 2025 ના રોજ ભારત પર 25% ટેરિફ લાદ્યો હતો. 27 ઓગસ્ટ, 2025ના રોજ, ટ્રમ્પ વહીવટીતંત્રએ રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર 25% વધારાનો ‘સેકન્ડરી ટેરિફ’ લાદવાની જાહેરાત કરી હતી, જે પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ ઉપર ઉમેરવામાં આવ્યો હતો.
આ બે ટેરિફ મળીને ઘણા ભારતીય ઉત્પાદનોના આયાત ખર્ચને બમણો કરી દીધો હતો. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે તર્ક આપ્યો હતો કે ભારત હજુ પણ રશિયન તેલ ખરીદી રહ્યું છે, જે યુક્રેનમાં મોસ્કોના યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ટેરિફ નીતિઓ લાગુ કરવા માટે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA)નો ઉપયોગ કર્યો.