09/02/2025
સુરતના પલસાણામાં જોળવાની ફેક્ટરીમાં બોઈલરનું ડ્રમ ફાટતા મોટી દુર્ઘટના થઈ. સંતોષ ટેક્સટાઈલ મિલમાં બોઈલરનું ડ્રમ ફાટતા અફરાતફરી મચી ગઈ હતી હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત અને 15થી વધુ કારીગરો દાઝ્યા હોવાનું કહેવામા આવી રહ્યું. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, સોમવારે વર્કર્સ પોત પોતાના કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક કેમિકલ ભરેલા ડ્રમમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આગ ઝડપથી આખી મિલમાં ફેલાઈ ગઈ. આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે મિલમાં અફરાતફરી મચી ગઈ હતી. જીવ બચાવવા માટે વર્કરો આમ તેમ ભાગવા લાગ્યા હતા, પરંતુ કેટલાક વર્કર્સ અંદર જ ફસાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ સુરત જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડે યુદ્ધના ધોરણે આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. સાથે જ પોલીસની મદદથી અંદર ફસાયેલા વર્કર્સને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા મહિલા અને પુરુષ વર્કર્સને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્ય હતા. બચાવ ટીમને તપાસ દરમિયાન મિલની અંદરથી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે, કારણ કે હજુ પણ કેટલાક વર્કર્સ ગુમ છે.