છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં માવઠા પડી રહ્યા છે, જેને કારણે જગતના તાતે રડવાનો વારો આવ્યો છે. માવઠાએ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવી લીધો હોય તેવી પરિસ્થિતી સર્જાઈ છે. આ સાથે જ પશુઓનો ચારો પણ બગડી ગયો છે. ડાંગર, મગફળી, કપાસ અને ડુંગળી જેવા પકોને વ્યાપક નુકસાન થયું છે. તો આજે મળેલી કેબિનેટે નુકસાની માટે સહાયને મંજૂરી તો આપી છે. આ ખેડૂતો માટે થોડી રાહતની વાત છે, પરંતુ ખેડૂતો માટે એક માઠા સમાચાર પણ છે.
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 2 નવેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ થશે. નવેમ્બરની શરૂઆતમાં બંગાળનો ઉપસાગર ફરી સક્રિય થશે અને અરબી સમુદ્રમાં પણ હલચલની અસર થશે. ઉત્તર ભારતમાં 4- 8 નવેમ્બરના અન્ય એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. વરસાદી સિસ્ટમ અને ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેના કારણે ઠંડીનો ચમકારો અનુભવાશે. નવેમ્બરના બીજા સપ્તાહમાં પણ વાતાવરણમાં પલટો આવશે. 18 નવેમ્બર બાદ વધુ એક વાવાઝોડું સક્રિય થશે જેની અસર ડિસેમ્બર સુધી થશે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 3 નવેમ્બર સુધીમાં 7 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગ અનુસાર, 5 દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ બે દિવસ તાપમાન 2-3 ડિગ્રી વધી શકે છે.
30 ઓક્ટોબરે વરસાદની તીવ્રતા વધતી દેખાઈ રહી છે. પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે.
31 ઓક્ટોબેરે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.