08/03/2020
બાજુ ઓછાને ખબર હશે કે પ્રસિદ્ધ ટીવી શ્રેણી રામાયણનું સંગીત પણ આ જ સંગીતકારે આપેલું.
હિન્દી ફિલ્મોના અત્યંત સુરીલા સંગીતકાર જયદેવ વર્મા હોત તો આજે ૧૦૧ મો જન્મ દિન ઉજવતે. ૩ ઓગસ્ટ, ૧૯૧૯ના રોજ કેન્યાના નૈરોબીમાં તેમનો જન્મ. ખૂબ ઓછું પણ ખુબ ગણવત્તાવાળું કામ કરનાર જયદેવજી પહેલાં એવાં સંગીતકાર હતા જેમને ત્રણ નેશનલ એવોર્ડ્સ એમની ફિલ્મો ‘રેશમા ઔર શેરા’, ‘ગમન’ અને ‘અનકહી’ માટે મળ્યાં હતાં. ‘પ્રેમ પર્વત’, ‘પરિણય’, ‘આલાપ’, ‘ઘરોંદા’, ‘તુમ્હારે લિયે’ કે ‘દૂરિયાં’ ના ગીતો માટે પણ જયદેવજીને યાદ કરાશે.
કેન્યામાં જન્મીને લુધિયાણામાં મોટા થયેલાં જયદેવ ૧૫ વર્ષની ઉમરે ઘરેથી મુંબઈ એટલાં માટે ભાગી ગયેલા કે એમને ફિલ્મ સ્ટાર બનવું હતું. અરે, વાડિયા ફિલ્મ્સની આઠ ફિલ્મોમાં તો તેમણે બાળ કલાકાર તરીકે અભિનય પણ કર્યો હતો. વતનમાં પ્રો. બરકત રાય અને મુંબઈમાં કૃષ્ણરાવ જાવકર અને જનાર્દન જાવકર પાસે સંગીત શીખ્યા. કમનસીબે, તેમના પિતાજી અંધ થઇ ગયા અને જયદેવે ફિલ્મ કારકિર્દી છોડીને યુવાવયે પરિવારનો ભાર ખભે લેવા વતન પરત થવું પડ્યું. પિતાજીનું મૃત્યુ થયા પછી બેન વેદ કુમારીને મોટી કરી તેમના લગ્ન સતપાલવર્મા સાથે કરાવીને જયદેવ લખનઉ ગયા અને અલી અકબર ખાન સાહેબના શાગીર્દ બન્યા.
અલી અકબરખાન સાહેબે ચેતન આનંદની ‘આંધિયાં’ અને ‘હમ સફર’ ફિલ્મોના સંગીત દરમિયાન જયદેવને સહાયક બનાવ્યા હતા. પછી ‘ટેક્સી ડ્રાઈવર’, ‘ચલતી કા નામ ગાડી’ અને ‘લાજવંતી’માં જયદેવ સચિનદેવ બર્મનના સહાયક બન્યા. પછી ચેતન આનંદે તેમને ‘જોરુ કા ભાઈ’ અને ‘અંજલિ’ ફિલ્મના મુખ્ય સંગીતકાર બનાવ્યા, જે સફળ બની. ત્યાર પછી આવી ૧૯૬૧ની ‘હમ દોનો’ અને જયદેવનો ડંકો વાગી ગયો. એ ફિલ્મના તમામ ગીતો લોકપ્રિય થયા.રફી, આશા અને લતાજી પાસે તેમણે સાહિર લુધિયાનવીના ગીતો ગવડાવ્યાં. દેવ આનંદ માટેના રફીસાહેબના બે યાદગાર સોલો ‘મૈ ઝીંદગી કા સાથ નિભાતાચલા ગયા’ અને ‘કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા’ આપણને અહીં મળ્યાં. તો રફી-આશાના ‘અભીના જાઓ છોડ કર’ અને ‘અધૂરી આશ-પ્યાસ છોડકર’ જેવા યુગલ ગીતો અને આશાજીનું સોલો ગીત ‘જહાં મેં ઐસા કૌન હૈ’ અને લતાજીના બે સોલો ગીતો ‘અલ્લા તેરો નામ’ અને ‘પ્રભુ તેરો નામ’ જેવી યાદગાર રચનાઓ જયદેવે ‘હમ દોનો’માં આપી હતી.
સુનીલ દત્તની ફિલ્મ ‘મુઝે જીને દો’ (૧૯૬૩)માં પણ સાહિર સાહેબના ગીતોને જયદેવે સ્વરબદ્ધ કર્યા હતાં. તેમાં આશાજી ગાતા હતાં, ‘નદી નારે ના જાઓ સામ પહિયા પડું’, તો રફીસાહેબ ગાતા હતા ‘અબ કોઈ ગુલશન ન ઉજડે અબ વતન આઝાદ હૈ’ પણ લતાજીનું વહીદા રેહમાન માટેનું નૃત્ય ગીત ‘રાત ભી હૈ કુછ ભીગીભીગી’ તો યાદગાર બન્યું.