08/19/2020
હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના મેવાતી ઘરાણાના મહાન ગાયક પંડિત જસરાજ નથી રહ્યા. ૯૦ વર્ષની વયે ૧૭ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ અમેરિકાના ન્યુજર્સીમાં હૃદય રોગના હુમલાને કારણે તેમનું નિધન થયું છે. ૮૦ વર્ષ સુધી ફેલાયેલી તેમની સંગીતની કારકિર્દીને પરિણામે તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા, સન્માન અને સંખ્યાબંધ સન્માનો મળ્યાં છે. તેઓ તેમની પાછળ મૂકી ગયા છે અનેક યાદગાર પ્રસ્તુતિ, જેમાં શાસ્ત્રીય,ઉપશાસ્ત્રીય, ભક્તિ સંગીત, હવેલી સંગીત કે મેવાતીઘરાણામાંઅનેકરૂપ નાવીન્ય લાવીને તેને લોકપ્રિય બનાવવાની તેમની કુનેહ. પંડિત જસરાજે અનેક શિખાઉ અને વ્યવસાયિક શિષ્યોને ભારત, યુરોપ, કેનેડા અને અમેરિકામાં સંગીત શિક્ષા આપી છે. તેમના શિષ્યોની લાંબી યાદીમાં કલા રામનાથ જેવાં વાયોલીનવાદક અને સંજીવ અભ્યંકર જેવાં મહાન ગાયકોનો સમાવેશ થાય છે.
૨૮ જાન્યુઆરી, ૧૯૩૦ના રોજ હરિયાણાના હિસ્સાર જીલ્લાના મંડોરી ગામે તેમનો જન્મ થયો હતો. તેમના પિતાજી પંડિત મોતીરામનું એ મધ્યમવર્ગનું એક બ્રાહ્મણ પરિવાર હતું. જસરાજ ચાર વર્ષના હતા ત્યારે પિતાજીનું નિધન થયું હતું. મીર ઓસ્માન અલી ખાનના દરબારમાં રાજ્યના સંગીતકાર રૂપે તેમની નિમણૂક થવાની હતી તેજ દિવસે પંડિત મોતીરામનું નિધન થયું હતું. જસરાજના મોટા ભાઈ પંડિત પ્રતાપ નારાયણ પણ સિદ્ધહસ્ત સંગીતકાર હતા અને તેમના બે હોનહાર દીકરાઓને આપણે જતીન-લલિત રૂપે અને દીકરીઓને આપણે ગાયિકા-અભિનેત્રી સુલક્ષણા પંડિત અને અભિનેત્રી વિજેતા પંડિત રૂપે ઓળખીએ છીએ. જસરાજના સૌથી મોટા ભાઈ પણ પંડિત મણીરામ રૂપે મોટા ગવૈયા હતા.