04/23/2024
ગુજરાતમાં બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં આવેલું એંગોલા ગામ જ્યાં ચૈત્ર સુદ પૂનમને દિવસે માનવીય ચહલ પહલ સંપૂર્ણ બંધ થઈ જાય છે. આજના દિવસે ગામની સુખાકારી માટે સમગ્ર ગામના લોકો ઢોર ઢાંખર સહિત સવારથી જ ગામની બહાર જતા રહે છે. વર્ષોથી ગામવાસીઓ આ પરંપરા નિભાવી રહ્યા છે.
ચૈત્ર સુદ પૂનમને દિવસે પાલનપુર તાલુકાનું સમગ્ર ગામ સુમસામ ભાસે છે. ઢોર ઢાંખર સહિત ગ્રામજનો વહેલી સવારથી જ ગામ છોડી દે છે. અને ગામથી એક કિલોમીટર દૂર મહાકાળી માતાજીના મંદિરમા જઈને સમગ્ર ગ્રામજનો આરતી, હોમ હવન કરી અને કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર માતાજીના મંદિરમાં સમગ્ર રસોઈ બનાવી ત્યાં જ જમે છે. આખો દિવસ માતાજીની આરાધના કરી સાંજે આરતી બાદ જ સમગ્ર ગ્રામજનો ગામમા પ્રવેશ કરે છે.