11/22/2025
ભારત-Aને ACC મેન્સ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2025 સેમિફાઇનલમાં બાંગ્લાદેશ-A સામે સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો. શુક્રવારે દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચને ભારત-A દ્વારા સુપર ઓવર સુધી લઈ ગઈ, જેનો શ્રેય વિરોધી ટીમની નબળી ફિલ્ડિંગને પણ જાય છે. ટીમ મેનેજમેન્ટની સૌથી મોટી ભૂલ સુપર ઓવરમાં આવી. તેમણે ઓપનર વૈભવ સૂર્યવંશીને બેટિંગ માટે ન મોકલ્યો, જે નિર્ણય મોંઘો સાબિત થયો.
સુપર ઓવરમાં કેપ્ટન જીતેશ શર્મા રેમ્પ શૉટ રમવાનો પ્રયાસ કરતી વખતે ફાસ્ટ બોલર રિપન મોંડોલના પહેલા જ બૉલ પર બોલ્ડ થઇ ગયો. ત્યારબાદ આશુતોષ શર્માએ આગલા બોલ પર મોટો શૉટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ એક્સ્ટ્રા કવર પર કેચ થઈ ગયો. પરિણામે બાંગ્લાદેશ-Aએ જીતવા માટે માત્ર એક રનની જરૂર હતી, જે તેમણે પાંચ બોલ બાકી રહેતા હાંસલ લીધો.
વૈભવ સૂર્યવંશીને સુપર ઓવરમાં ન મોકલવાનો નિર્ણય વધુ આશ્ચર્યજનક હતો કારણ કે તેણે મેચમાં 15 બોલમાં 38 રન બનાવ્યા હતા. વૈભવે ભારતીય ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં 19 રન ફટકાર્યા હતા. કેપ્ટન જીતેશ શર્માએ હવે વૈભવ સૂર્યવંશીને સુપર ઓવરમાં ન મોકલવા અંગે નિવેદન આપ્યું છે. જીતેશે કહ્યું કે, આ ટીમ મેનેજમેન્ટનો નિર્ણય હતો, જેમાં અંતે તેની સહમતી હતી. જીતેશે હારની સંપૂર્ણ જવાબદારી પણ લીધી.