11/05/2025
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની બેઠક મંગળવારથી દુબઈમાં શરૂ થઈ હતી. બેઠક દરમિયાન એશિયા કપનો વિવાદ ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ICCએ પાકિસ્તાની ખેલાડી હારિસ રઉફને બે મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો, જ્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને તેની મેચ ફીના 30% દંડ ફટકારવામાં આવ્યો હતો. 2025ના એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ સહિત 3 મેચ રમાઈ હતી. આ મેચો દરમિયાન ખેલાડીઓ વચ્ચે તણાવ જોવા મળ્યો હતો, જેને ICCએ આચારસંહિતાનું ઉલ્લંઘન માન્યું હતું.
દુબઈમાં ચાલી રહેલી આ બેઠકમાં ICCએ ભારત-પાકિસ્તાન મેચો દરમિયાન ખેલાડીઓ દ્વારા આચારસંહિતા ઉલ્લંઘનના કેસ પર પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. ICCએ તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હારિસ રઉફ અને સાહિબજાદા ફરહાન સહિત વિવિધ મેચોમાં 5 ખેલાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ બધા મામલા સપ્ટેમ્બર 2025માં રમાયેલી ત્રણ એશિયા કપ મેચો (14 સપ્ટેમ્બર, 21 સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બરના રોજ) સાથે સંબંધિત છે. આ કેસોની સુનાવણી અમીરાત ICC એલિટ પેનલ ઓફ મેચ રેફરીના સભ્યો દ્વારા કરવામાં આવી હતી.