09/15/2025
14 સપ્ટેમ્બર (રવિવાર)ના રોજ એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રોમાંચથી ભરેલી હતી. તો મેચ બાદનો વિવાદ પણ ચર્ચામાં છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ-વિનિંગ સિક્સ ફટકાર્યો તેની સાથે જ તે સીધો શિવમ દુબે સાથે પેવેલિયન તરફ ચાલ્યો ગયો. બંનેએ પરંપરા મુજબ પાકિસ્તાની ટીમના ખેલાડીઓ સાથે હેન્ડશેક ન કર્યા. ક્રિકેટ મેચ સમાપ્ત થયા બાદ, બંને ટીમો સામાન્ય રીતે એકબીજા સાથે હેન્ડશેક કરીને ખેલદિલી બતાવે છે.
પાકિસ્તાની ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો ભારતીય ખેલાડીઓના આવવા અને હેન્ડશેક કરવાની રાહ જોતા રહ્યા, પરંતુ આખી ટીમ મેદાનથી સીધી તેમના ડ્રેસિંગ રૂમમાં ગઈ અને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. અગાઉ, ટોસ દરમિયાન પણ, સૂર્યકુમાર યાદવ અને સલમાન અલી આગાએ હેન્ડશેક કર્યો નહોતો. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કર્યું કે તેમની ટીમ મેદાન પર રમવા આવી હતી અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો. સૂર્યકુમારે કહ્યું કે જીવનમાં કેટલીક બાબતો ખેલાડીની લાગણીઓથી ઉપર હોય છે. સૂર્યાએ કહ્યું કે આખી ટીમ પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો સાથે ઉભી છે. કેપ્ટન સૂર્યાએ આ જીત ભારતીય સેનાને સમર્પિત કરી, જેમણે ઓપરેશન સિંદૂરનું સફળતાપૂર્વક સંચાલન કર્યું.