07/29/2025
Rajnath Singh: સોમવારે લોકસભામાં પહેલગામ આતંકવાદી હુમલા અને 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા શરૂ કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે વિપક્ષ માત્ર એમ પૂછી રહ્યું છે કે આપણા કેટલા વિમાનો તોડી પાડવામાં આવ્યા, પરંતુ એમ ન પુછ્યું કે, દુશ્મનના કેટલા વિમાનો તોડી પાડવામાં આવ્યા. રાજનાથ સિંહે 1971 અને 1962ના યુદ્ધો દરમિયાન વિરોધ પક્ષ તરીકે પૂછાયેલા સવાલોનો ઉલ્લેખ કર્યો હતો. રાજનાથ સિંહે કહ્યું કે અમે 1962માં ક્યારેય સેનાની બહાદુરી પર સવાલ ઉઠાવ્યો નથી. અમે ક્યારેય પૂછ્યું નથી કે કેટલા સેનાના ટેન્ક કે વિમાનો નાશ પામ્યા હતા. અમારા માટે પરિણામ મહત્ત્વનું છે, એ મહત્ત્વ ધરાવતું નથી કે પરીક્ષામાં પેન્સિલ તૂટી ગઈ કે પેન ખોવાઈ ગઈ. અસલી મહત્ત્વ પરિણામનું છે.
રાજનાથ સિંહે કહ્યું કે, ઓપરેશન સિંદૂર રોકી દેવામાં આવ્યું છે કારણ કે સેનાએ પોતાના રાજકીય અને સૈન્ય લક્ષ્યો હાંસલ કરી લીધા છે. કોઈના દબાણને કારણે 'ઓપરેશન સિંદૂર' બંધ કરવામાં આવ્યું હતું એમ કહેવું પૂરી રીતે પાયાવિહોણું છે. રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાને ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO)ના સ્તરે સંપર્ક કરીને વિનંતી કરી હતી કે કાર્યવાહી હવે બંધ કરવામાં આવે. "...પરંતુ આ રજૂઆત એ શરત સાથે સ્વીકારવામાં આવી હતી કે આ અભિયાન માત્ર બંધ કરવામાં આવ્યું છે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ ઓપરેશનને રોકવા માટે કોઈ દબાણ નહોતું. જો પાકિસ્તાન કંઈ નવું કરવાની હિંમત કરે છે, તો આ ઓપરેશન ફરીથી શરૂ થઈ શકે છે.