10/15/2025
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાની પહેલી યાદી જાહેર કરીને વિપક્ષ પર ત્રિપલ લેયર હુમલાની તૈયારી શરૂ કરી દીધી છે. પાર્ટીની રણનીતિ મુજબ, બિહાર વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષને હરાવવા માટે આ એક મહત્ત્વપૂર્ણ દાવપેચ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના મુખ્ય રણનીતિકાર, ગૃહમંત્રી અમિત શાહની આ રણનીતિ વિપક્ષ માટે સૌથી પડકારજનક રહેશે.
ભાજપના આ ત્રિપલ લેયર એટેકની શરૂઆત 15 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6:00 વાગ્યે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના કાર્યકરો સાથે વર્ચ્યુઅલી વાતચીત કરશે. આનો અર્થ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકરો સાથે સીધો વાર્તાલાપ કરશે અને તેમને ચૂંટણી જીતનો મંત્ર આપશે. ભાજપના ત્રિપલ લેયર એટેકનો આ પ્રથમ હિસ્સો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન 10 લાખથી વધુ બૂથ-સ્તરના કાર્યકરો સાથે સીધા જોડાશે. આનો હેતુ કાર્યકરોને ઉત્સાહિત કરવાનો અને દરેક મતદાર સુધી પહોંચવાની યોજના સમજાવવાનો છે.