07/05/2025
Thackeray brothers reunite after 20 years: શનિવારે મહારાષ્ટ્રના રાજકારણમાં એક ઐતિહાસિક દૃશ્ય જોવા મળ્યું, જ્યારે બે દાયકાથી અલગ માર્ગે ચાલી રહેલા ઠાકરે પરિવારના 2 મોટા ચહેરા, ઉદ્ધવ અને રાજ ઠાકરે મરાઠી અસ્મિતાના મુદ્દા પર એક સાથે મંચ પર આવ્યા. મુંબઈના વરલીમાં NSCI ડોમમાં આયોજિત 'મરાઠી વિજય દિવસ' રેલીમાં બંને નેતાઓએ જે રીતે એકતા દર્શાવી, તેનાથી ન માત્ર ત્રિભાષા નીતિ વિરુદ્ધ જનભાવના વ્યક્ત થઈ, પરંતુ એ પણ સ્પષ્ટ થયું કે ઠાકરે ભાઈઓ હવે ‘મરાઠી માણુસ’ના પ્રશ્ન પર એક અવાજમાં બોલવા માટે તૈયાર છે. રાજ અને ઉદ્ધવ ઠાકરેનું એક મંચ પર એકસાથે આવવું એ માત્ર પ્રતિકાત્મક નથી, પરંતુ મહારાષ્ટ્રની સામાજિક-સાંસ્કૃતિક ચેતના માટે એક મોટા સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.
રાજ ઠાકરેએ અહીં સ્પષ્ટપણે કહ્યું કે, 'મેં પહેલાથી જ કહ્યું હતું કે ઝઘડાથી મોટું મહારાષ્ટ્ર છે.’ ઉદ્ધવે પણ સ્ટેજ પરથી કહ્યું કે, 'અમે આજે માત્ર બોલી રહ્યા નથી, આપણે સાથે રહેવા માટે ભેગા થયા છીએ. આપણને વિભાજીત કરનારાઓને હવે બહાર ફેંકી દઇશું.’ આ 'ભારત મિલન' ન માત્ર મરાઠી અસ્મિતાના રક્ષણ માટે થયું, પરંતુ રાજકીય શક્યતાઓની એક નવી બારી પણ ખોલી છે.