લોકસભામાં ચૂંટણી લડવાની લઘુત્તમ વય ઘટાડવાની ઉઠી માંગ
ચૂંટણી પ્રક્રિયામાં સુધારાની જરૂરિયાત વ્યક્ત કરતા શિવસેનાએ મંગળવારે માંગ કરી હતી કે સરકાર એક જ મતદાર યાદી અને રિમોટ વોટિંગ’નો અધિકાર સુનિશ્ચિત કરે. તેમણે ચૂંટણી લડવા માટેની લઘુત્તમ વય 18 કે 21 વર્ષ કરવાનું પણ સૂચન કર્યું. લોકસભામાં ચૂંટણી સુધારા પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં વ્યાપક સુધારાની જરૂર છે અને સરકાર દ્વારા આ હાંસલ કરવા માટે કરવામાં આવી રહેલા તમામ પ્રયાસો, જેમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR)નો પણ સમાવેશ થાય છે, તે યોગ્ય દિશામાં છે.
તેમણે ચૂંટણી લડવા માટેની લઘુત્તમ વય 25 વર્ષથી ઘટાડીને 18 કે 21 વર્ષ કરવાનું સૂચન કરતા કહ્યું કે 18 વર્ષની ઉંમરમાં મતદાનનો અધિકાર આપવામાં આવે છે, તેથી ચૂંટણી લડવા માટેની લઘુત્તમ વય 18 કે 21 વર્ષ સુધી કરવામાં શું સમસ્યા છે? તેમણે સરકારને ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’, બધી ચૂંટણીઓ માટે ‘એક જ મતદાર યાદી’ અને પોતાના મતદાન મથકથી દૂર બેઠા મતદાતાને ત્યાથી જ મત નાખવાની વ્યવસ્થા કરવાની સલાહ પણ આપી.
ભૂતપૂર્વ વડાપ્રધાન અને દિવંગત કોંગ્રેસ નેતા ઇન્દિરા ગાંધીને ચૂંટણીમાં ગોટાળા માટે દોષિત ઠેરવવાનો મુદ્દો ઉઠાવતા શિંદેએ કહ્યું કે, ‘જે પક્ષના ટોચના નેતૃત્વએ સત્તા માટે બંધારણનું ગળું દબાવ્યું હતું તે આજે બંધારણ લઈને ફરી રહ્યા છે અને તેનો ઉપયોગ કરી રહ્યા છે.’
તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે કોંગ્રેસના શાસન દરમિયાન, મતપેટીઓમાં એસિડ નાખીને તેનો નાશ કરવામાં આવતો હતો. તેમણે કહ્યું કે કેટલાક રાજકીય પક્ષોને મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સાથે સમસ્યા છે કારણ કે તેઓ વોટ બેંકનું રાજકારણ રમી રહ્યા છે.
શિંદેએ કહ્યું કે તેઓ શિવસેના (UBT) સભ્યનું નિવેદન સાંભળી રહ્યા હતા. તેમણે કહ્યું કે જેમણે બાળાસાહેબ ઠાકરેનો મતદાનનો અધિકાર છીનવી લીધો હતો તેઓ આજે શિવસેના (UBT)ની બાજુમાં બેઠા છે. તેમણે કહ્યું કે આ રાજકીય પક્ષોને ઘૂસણખોરોને બહાર ફેંકવામાં સમસ્યા છે કારણ કે તેમને વોટ બેંકનું રાજકારણ કરવું પડે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp