08/06/2020
પાકિસ્તાન તરફથી જાહેર કરવામાં આવેલ નકશામાં જૂનાગઢને પાકિસ્તાનના નકશામાં દર્શાવવામાં આવ્યું છે. આ સમયે પાકિસ્તાને ઈગ્નોર કરવાની જરૂર છે. સાથે જ જૂનાગઢના ભવ્ય ઈતિહાસને યાદ કરતો રહેવો જરૂરી છે. જે રીતે પાકિસ્તાન તરફી નવાબ (મહાબતખાન) તેના કૂતરાઓ સાથે ભાગી છૂટ્યો હતો, તેની કાયરતા સમગ્ર પાકિસ્તાન અને વિશ્વ સામે જાહેર કરવી જોઈએ. પાકિસ્તાને જૂનાગઢને પાકિસ્તાનમાં દર્શાવવા સાથે પોતાની આબરૂના વિશ્વ સમક્ષ ધજાગરા ઉડાવવાનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો છે.
ઓગષ્ટ 1947માં જ્યારે ભારત દેશને આઝાદી મળી એ સમયે ભારતનો નકશો ખંડિત હતો. ગોવા, કાશ્મીર, જૂનાગઢ સહિતના કેટલાક રાજ્યો અને અને પ્રદેશો ભારતમાં ભળવાના હજુ બાકી હતા. સરદાર પટેલ તે સમયે ભારતને અખંડિત બનાવવા તનતોડ મહેનત કરી રહ્યાં હતા. જૂનાગઢના નવાબે 14 ઓગષ્ટ સુધીમાં બે વખત ભારત સાથે જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ કોન્ટ્રાક્ટ પર સાઈન કરવા ગલ્લા તલ્લા થઈ રહ્યાં હતા. સરદારને અહી કંઈક ખીચડી પાકી રહી હોવાનો અંદેશો તો આવી જ ગયો હતો. 15 ઓગષ્ટે નવાબે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરી. આ અંગે નવાબે ભારતના ગૃહખાતાને જાણ કરી ન હતી. જોકે જૂનાગઢની પ્રજાને ભારત સાથે જોડાવવાની તીવ્ર લાગણી હતી.