TMCના ધારાસભ્યની ધમકી - 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદ જેવી મસ્જિદનો શિલાન્યાસ, જો કોઈ રોકશે તો મુસ્લીમો NH-34ને કબજે કરી..., જાણો
પશ્ચિમ બંગાળમાં TMCના ધારાસભ્ય હુમાયુ કબીરે મંગળવારે ફરી વિવાદિત ધમકીઓ ઉચ્ચારી રાજકીય ગરમી વધારી હતી. તેણે જાહેરાત કરતા ચેતવણી આપી હતી કે, તે 6 ડિસેમ્બરે મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદ જેવી મસ્જિદનો શિલાન્યાસ કરશે અને જો તેને રોકવામાં આવશે, તો તે દિવસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-34ને મુસ્લિમો દ્વારા કબજે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બેલડાંગાના ધારાસભ્ય કબીર ઘણા મહિનાઓથી બળવાખોર વલણ અપનાવી રહ્યા છે. તેણે અધિકારીઓને ચેતવણી આપી હતી કે, તેઓ તેમના કાર્યક્રમને રોકવાનો પ્રયાસ ન કરે, તે આગ સાથે રમવા જેવું હશે.
હુમાયુ કબીરે રાજ્યની તૃણમૂલ સરકાર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એજન્ટ તરીકે કામ કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, હું શાંતિમાં ખલેલ પહોંચાડીશ નહીં, પરંતુ જો કોઈ શાંતિપૂર્ણ કાર્યક્રમમાં ખલેલ પહોંચાડે છે, તો હું જવાબ આપવા તૈયાર છું. ત્યારે હવે કબીરની ટિપ્પણીઓએ નવા પ્રશ્નો ઉભા કર્યા છે કે, શાસક પક્ષે મહિનાઓથી બળવો કર્યા છતાં તેમની સામે કાર્યવાહી કેમ નથી કરી. જો કે તૃણમૂલ કોંગ્રેસે કબીરની ટિપ્પણીઓથી પોતાને દૂર રાખ્યા છે. તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનર્જીએ કબીરના રાજકીય મહત્વને સ્પષ્ટપણે ફગાવી દેતા કહ્યું હતું કે, "પશ્ચિમ બંગાળના લોકો મમતા બેનર્જી પર વિશ્વાસ કરે છે. કોણ શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.
ત્યારે મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પાર્ટીએ શાસક TMC પર શાંતિથી પરિસ્થિતિને વેગ આપવાનો આરોપ લગાવ્યો હતો. રાજ્ય ભાજપ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યે આરોપ લગાવ્યો હતો કે, તૃણમૂલ બંગાળને અરાજકતા તરફ ધકેલી રહ્યું છે. આવા નિવેદનો સાંપ્રદાયિક લાગણીઓ ઉશ્કેરવા અને ધ્રુવીકરણ કરવા માટે છે. ત્યારે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ આ ઘટનાને તૃણમૂલની વૈચારિક અસ્થિરતાનું બીજું ઉદાહરણ ગણાવ્યું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp