12/23/2025
ભારત-બાંગ્લાદેશ તણાવ વચ્ચે, બાંગ્લાદેશ હાઈ કમિશને ભારતીયો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી છે. દિલ્હીમાં કોન્સ્યુલર અને વિઝા સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. આ અગાઉ, રવિવારે ભારતે બાંગ્લાદેશના ચટગાંવમાં ભારતીય વિઝા અરજી કેન્દ્ર (IVAC) ખાતે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. ભારતે ખુલના, રાજશાહી અને ચટગાંવમાં પણ વિઝા સેવાઓ સ્થગિત કરી હતી. ચટગાંવમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યા હતા, અને પ્રદર્શનકારીઓ પર પર વિઝા ઓફિસ પર પથ્થરમારો કરવાનો આરોપ લાગ્યો હતો.
બાંગ્લાદેશના આ નિર્ણયને ભારત દ્વારા વિઝા સેવાઓ સ્થગિત કરવાના પ્રતિભાવ તરીકે જોવામાં આવી રહ્યો છે. જોકે, બાંગ્લાદેશની મુલાકાત લેનારા ભારતીયોની સંખ્યા નહિવત્ છે, જેમાં ફક્ત પત્રકારો અને થોડા વેપારીઓ જ આવતા જતાં રહે છે. બાંગ્લાદેશી યુવા નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનોના જવાબમાં ભારતે વિઝા સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. હાદીના મૃત્યુથી બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેમાં ભારત વિરોધી નારા પણ લગાવવામાં આવ્યા હતા.