તો આ કારણે શુભમન ગીલને ન મળ્યું T20 વર્લ્ડકપની ટીમમાં સ્થાન! જાણો સિલેક્ટરનો ખુલાસો
ટી20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. જે બાદ સૌથી મોટો ચર્ચાનો વિષય શુભમન ગિલનું નામ ટીમમાં ન હોવું બન્યો છે. મુંબઈમાં થયેલી પસંદગી બેઠક પછી જાહેર થયેલી ટીમમાં ગિલને આખી 15 સભ્યોની ટીમમાંથી જ બહાર રાખવામાં આવ્યો છે. ત્યારે હવે આ નિર્ણયને લઈને ક્રિકેટ જગતમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. જે મામલે ચીફ સિલેક્ટર અજીત અગરકરે ખુદ સામે આવીને સમગ્ર મુદ્દે સ્પષ્ટતા કરી છે.
આ વર્ષ ટી20 ફોર્મેટમાં શુભમન ગિલ માટે ખાસ યાદગાર નથી રહ્યું. તેને સતત ઓપનિંગ કરવાની તક મળવા છતાં મોટા સ્કોર નોંધાવી શક્યા નથી. આ વર્ષે રમાયેલા ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં ગિલ એક પણ અર્ધશતક નોંધાવી શક્યા નથી, જે ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાની બાબત બની હતી. એશિયા કપ 2025માં જ તેમની ટી20 ટીમમાં વાપસી થઈ હતી જે સાથે તેને ઉપકપ્તાન પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ સતત ખરાબ પ્રદર્શને તેમની સ્થિતિ નબળી કરી દીધી હતી.
આ બાબતે ચીફ સિલેક્ટર અજીત અગરકરે સ્પષ્ટતા આપી કે, શુભમન એક ખૂબ જ સારા ખેલાડી છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ જ્યારે મોટી ટૂર્નામેન્ટ આવે છે ત્યારે માત્ર વ્યક્તિગત પ્રતિભા નહીં, પરંતુ ટીમ કોમ્બિનેશન સૌથી વધુ મહત્વનું બની જાય છે. તેથી ટીમનું સંતુલન જાળવવા માટે ક્યારેક કઠિન નિર્ણયો લેવા પડે છે અને કોઈને બહાર બેસવું પડે છે.
અગરકરે સમજાવ્યું કે, જ્યારે ગિલ ટેસ્ટ ક્રિકેટમાં વ્યસ્ત હતા અને ઘણા ટી20 મેચો ટેસ્ટ સાથે ટકરાઈ રહ્યા હતા, ત્યારે ઉપકપ્તાની જવાબદારી અક્ષર પટેલને આપવામાં આવી હતી. અમે સતત ટીમ કોમ્બિનેશન પર નજર રાખી રહ્યા છીએ. જો તમારો વિકેટકીપર ઉપર બેટિંગ કરે છે, તો તમને એવો ખેલાડી જોઈએ જે ઓપનિંગ કરી શકે. હાલ આ ભૂમિકા માટે જીતેશ શર્મા યોગ્ય લાગ્યા. બીજી તરફ રિંકુ સિંહને સામેલ કરવાનો નિર્ણય લોવર મિડલ ઓર્ડરને મજબૂત બનાવે છે. અજીત અગરકરે એ પણ સ્વીકાર્યું કે, ભારતીય ક્રિકેટમાં વિકલ્પોની કોઈ કમી નથી. દરેક પસંદગી પર અલગ-અલગ મત હોઈ શકે છે. ખેલાડીઓ પસંદ કરવું સહેલું નથી. શુભમન ગિલ એક ગુણવત્તાસભર ખેલાડી છે અને ફોર્મમાં ઉતાર-ચઢાવ દરેકના કરિયરમાં આવે છે. પરંતુ આનો અર્થ એ નથી કે ખેલાડી ખરાબ છે. આ ઉપરાંત શુભમન ગિલને છેલ્લા સમયમાં ઈજાઓએ પણ પરેશાન કર્યા છે.
આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે એવું માનવામાં આવે છે કે, બીસીસીઆઈ અને સિલેક્શન કમિટીએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લીધો છે. ટી20 વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ટીમ સંતુલન, બેટિંગ ડેપ્થ અને ફ્લેક્સિબિલિટી મહત્વપૂર્ણ બની જાય છે. હવે ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં વર્લ્ડ કપ માટે તૈયાર છે, જેમાં અક્ષર પટેલ ઉપકપ્તાનની ભૂમિકા સંભાળશે. આ ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ રાખવામાં આવ્યું છે, જેથી દરેક પરિસ્થિતિમાં ટીમ મજબૂત રહી શકે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp