ચોમાસાની વિદાય ટાણે ઊભું થયું વાવાઝોડાનું સંકટ, આજે જ રાત્રે આ રાજ્યોમાં દેખાડશે અસર, જાણો વિગતે
બંગાળની ખાડીમાં બનેલું મજબૂત નીચા દબાણનું ક્ષેત્ર હવે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે અને ઝડપથી ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે આ માહિતી આપી છે. IMD એ કહ્યું છે કે, આ વાવાઝોડું આજે રાત્રે ઓડિશા અને તેની નજીકના આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરશે. આ સમય દરમિયાન 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે આ વાવાઝોડું બીજા દિવસે એટલે કે 3 ઓક્ટોબર સુધીમાં નબળું પડી જશે અને પવનની ગતિ ઘટીને 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે, પરંતુ તોફાનની અસર થોડા દિવસો સુધી ચાલુ રહેશે. પ્રભાવિત રાજ્યના તમામ ભાગો, મુખ્યત્વે દરિયાકાંઠાના અને દક્ષિણ પ્રદેશોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. IMD એ આજે રાજ્યના તમામ 30 જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. રાજ્ય સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને સાબદુ કરી દીધું છે. માછીમારોને 3 ઓક્ટોબર સુધી ઓડિશા કિનારાની નજીક દરિયામાં ન જવાની સલાહ આપી છે.
આ સાથે IMD એ એક અનોખી ઘટનાની સંભાવના વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, અરબ સાગરમાં પણ એક લૉ પ્રેશર ઝોન સર્જાયો છે જે ઉત્તર-પૂર્વ તરફ દ્વારકા અને ગુજરાતના કિનારા તરફ વધી રહ્યું છે. ઉપરાંત, ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. અને આ ત્રણેય સિસ્ટમ્સ (બંગાળની ખાડીનું વાવાઝોડું, અરબ સાગરનું લૉ પ્રેશર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ની એકબીજા સાથે ટકરાવવાની સંભાવના છે, જે એક અત્યંત અનોખી ઘટના હશે. હવામાનની ઘટનાને કારણે આગામી 5 દિવસ સુધી અડધા ડઝનથી વધુ રાજ્યોમાં ભારે પવન અને વરસાદ વરસી શકે છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, પૂર્વ મધ્ય પ્રદેશ અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp