17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફર્યા તારિક રહેમાન, BNP સમર્થકોમાં નવી આશા જાગી, શું બે મહિનામાં સાર

17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફર્યા તારિક રહેમાન, BNP સમર્થકોમાં નવી આશા જાગી, શું બે મહિનામાં સારું પ્રદર્શન કરી શકશે?

12/25/2025 World

SidhiKhabar

SidhiKhabar

17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફર્યા તારિક રહેમાન, BNP સમર્થકોમાં નવી આશા જાગી, શું બે મહિનામાં સાર

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ પોતાના દેશ પરત ફર્યા છે. દેશમાં તીવ્ર રાજકીય અસ્થિરતા અને અરાજકતા વચ્ચે સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રહેમાનના પાછા ફરવાથી BNP સમર્થકોમાં નવો ઉત્સાહ ભરાઇ ગયો છે. જોકે, તારિક માટે તેમના પક્ષના કાર્યકરો અને નેતાઓનો વિશ્વાસ જીતવો મુશ્કેલ બની જશે. જ્યારે તેઓ વિદેશમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા હતા, ત્યારે પક્ષના અન્ય નેતાઓ અને કાર્યકરો પાયાના સ્તરે લડાઇ લડી રહ્યા હતા.

પ્રભાવશાળી ઝિયા પરિવારના વારસદાર તારિક રહેમાન બાંગ્લાદેશ પરત ફરતા જ કાર્યકારી વડાપ્રધાન મોહમ્મદ યૂનુસને મોટો ઝટકો લાગ્યો છે. તેમના ખાસ સહાયકે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આનાથી રહેમાન માટે સમર્થન મેળવવાનું સરળ બની શકે છે.


રહેમાન વડાપ્રધાન પદ માટે મુખ્ય દાવેદાર

રહેમાન વડાપ્રધાન પદ માટે મુખ્ય દાવેદાર

બીમાર ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયા (80)ના પુત્ર રહેમાન (60) ફેબ્રુઆરીમાં આગામી સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાનપદ માટે અગ્રણી દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. ઝિયાના મોટા પુત્ર રહેમાનના પાછા ફરવાનો ઉલ્લેખ કરતા BNP પ્રવક્તા રુહુલ કબીર રિઝવીએ કહ્યું કે, ‘આ એક નિર્ણાયક રાજકીય ક્ષણ હશે.’ તેમના પિતા ઝિયાઉર રહેમાન, લશ્કરી શાસકમાંથી રાજકારણી બન્યા હતા. ઝિયાઉરે BNPની સ્થાપના કરી હતી અને 1977 થી 1981 સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી, જ્યારે તેમની હત્યા કરી દેવામાં આવી હતી. મુહમ્મદ યૂનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે રહેમાનના પાછા ફરવા માટે કડક સુરક્ષા વ્યવસ્થાનો આદેશ આપ્યો છે, જ્યારે BNPએ શક્તિ પ્રદર્શન માટે લાખો સમર્થકોને તેમનું સ્વાગત કરવા માટે એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું હતું.


શું 2 મહિનામાં સારું પ્રદર્શન કરી શકશે?

શું 2 મહિનામાં સારું પ્રદર્શન કરી શકશે?

રહેમાનની વાપસી એવા સમયે આવી છે, જ્યારે 5 ઓગસ્ટ, 2024ના રોજ હિંસક વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના વિરોધ પ્રદર્શનોને કારણે તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગ સરકારના પતન બાદ બદલાયેલા રાજકીય પરિદૃશ્યમાં BNP ફરી અગ્રણી બનીને ઉભરી છે. 2001-2006ના કાર્યકાળ દરમિયાન BNPના ભાગીદાર, જમાત-એ-ઇસ્લામી, અને તેના ઇસ્લામિક સાથીઓ હવે BNPના મુખ્ય પ્રતિદ્વંદ્વીના રૂપમાં છે. વચગાળાની સરકારે દેશના કડક આતંકવાદ વિરોધી કાયદા હેઠળ એક આદેશ દ્વારા આવામી લીગનું વિસર્જન કર્યું હતું.

બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીઓ 12 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાવાની છે. રહેમાન પાસે 2 મહિના કરતા પણ ઓછા સમય બચ્યો છે. આ દરમિયાન, તેમણે સ્થાનિક નેતાઓ અને પક્ષના કાર્યકરોનો વિશ્વાસ જીતવો પડશે અને એવા બાંગ્લાદેશી મતદારોને આકર્ષવા પડશે જેઓ આવામી લીગ જેવા કટ્ટરપંથી સંગઠનને બદલે વધુ ઉદાર પક્ષને સત્તામાં લાવવા માંગે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top