અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને કારણે 2000ની નોટને લઈને RBIનું મોટું એલાન..! જાણો શું?
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને કારણે સરકારી કચેરીઓ અડધો દિવસ બંધ રહેશે. આ કારણોસર ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, 22 જાન્યુઆરીએ 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. દેશભરની જાહેર ક્ષેત્રની બેંકો, ગ્રામીણ બેંકો, વીમા કંપનીઓ અને તમામ નાણાંકીય સંસ્થાઓ અડધા દિવસ માટે બંધ રહેશે.
ભારતીય રિઝર્વ બેંકે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, રિઝર્વ બેંકની 19 સ્થાનિક કચેરીઓમાં અડધા દિવસની રજા રહેશે. જેથી ગ્રાહકો 22 જાન્યુઆરીએ 2000 રૂપિયાની નોટ બદલી શકશે નહીં. ગ્રાહકો 23 જાન્યુઆરી, 2024થી 2000 રૂપિયાની નોટ બદલી શકશે.
રિઝર્વ બેંકે 19 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી. તે સમયે, 2000ની 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. આ કિંમત 29 ડિસેમ્બર, 2023 સુધીમાં ઘટીને માત્ર 9,330 કરોડ રૂપિયા રહી ગઈ છે. હજુ પણ 2.62 ટકા જેટલી 2000 રૂપિયાની નોટો બેંક સર્ક્યુલેશનમાં પરત આવી નથી.
ભારતીય રિઝર્વ બેંકે 8 ઓક્ટોબર 2023 સુધીમાં બેંકો અને પોસ્ટ ઓફિસમાં 2000 રૂપિયાની નોટો બદલવાનું જણાવ્યું હતું. જો કોઈ વ્યક્તિએ હજુ સુધી આ નોટ બદલી ના હોય તો 19 સ્થળોએ આવેલી રિઝર્વ બેંકની ઓફિસમાં જઈને નોટ બદલી શકે છે. દિલ્હી, પટના, લખનૌ, મુંબઈ, ભોપાલ, જયપુર, ચંદીગઢ, અમદાવાદ, હૈદરાબાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગુવાહાટી, જમ્મુ, કાનપુર, કોલકાતા, તિરુવનંતપુરમ અને નાગપુરની RBI કચેરીમાં 2000ની નોટ બદલી શકાશે.
મહારાષ્ટ્ર સરકારે 22 જાન્યુઆરીએ રજા જાહેર કરી છે. રાજ્ય સરકારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881ની કલમ 25 હેઠળ રજા જાહેર કરી છે. જેથી 22 જાન્યુઆરીએ સોમવારે સરકારી સિક્યોરિટીઝ, મની માર્કેટ અને રૂપી ઈન્ટરેસ્ટ રેટના ડેરિવેટિવ્સમાં કોઈ વ્યવહાર નહીં થાય. 23 જાન્યુઆરીથી તમામ પ્રકારના નાણાંકીય વ્યવહારો કરી શકાશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp