નવરાત્રીનો ત્રીજો દિવસ એટલે મા ચંદ્રઘંટાની ઉપાસનાનો દિવસ. ચંદ્રઘંટા માતાનો વર્ણ સોનેરી છે. તે સિંહ પર સવાર છે. (કોઈક સ્થળે એમને વાઘ ઉપર સવાર થતા પણ દર્શાવ્યા છે.) માતાને દસ ભુજાઓ છે, જેમાં ત્રિશુળ, ખડગ, ધનુષ-બાણ વગેરે જેવા શાસ્ત્રો ધારણ કરેલા છે. એક હાથમાં કમળ પણ ધારણ કરેલું હોય છે. એમની ઉપાસના કરવાથી સર્વે વિપત્તિઓ અને સર્વે પ્રકારના ભ્રમનો નાશ થાય છે.
ચંદ્રઘંટા નામનો અર્થ ‘ઘંટ આકારનો, અર્ધગોળ ચંદ્ર મસ્તક પર ધારણ કરનાર’ એવો થાય છે. એમને ત્રણ નેત્રો છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મા ચંદ્રઘંટાનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે. મા ચંદ્રઘંટાનું રૌદ્ર સ્વરૂપ ‘ચંડી’ અથવા ‘રણચંડી’ તરીકે પણ ઓળખાય છે.
મા ચંદ્રઘંટાને સુલેહ-શાંતિ અને સમૃદ્ધિના પ્રતિક ગણવામાં આવે છે. એ સાથે જ ચંદ્રઘંટા દેવી હંમેશા યુદ્ધ માટે તૈયાર રહે છે. કોઈ પણ દિશામાંથી આસુરી શક્તિનું અચાનક આક્રમણ થાય ત્યારે માં ચંદ્રઘંટા યુદ્ધ કરીને આસુરી શક્તિનો નાશ કરવા સદૈવ તત્પર હોય છે.
પૌરાણિક કથા :
શિવમહાપુરાણ અનુસાર મા ચંદ્રઘંટા એ ‘શક્તિ’નું સ્વરૂપ છે. ભગવાન શિવના દરેક સ્વરૂપમાં આ શક્તિ જોડાયેલી જોવા મળે છે. આજ કારણોસર શિવનું ‘અર્ધનારીશ્વર સ્વરૂપ’ ઓળખાય છે.
શ્લોક :
મા ચંદ્રઘંટાનો શ્લોક નીચે મુજબ છે.
पिण्डजप्रवरारुढा चण्डकोपास्त्रकैर्युता |
प्रसादं तनुते मह्यं चन्द्रघण्टेति विश्रुता ||
મા ચંદ્રઘંટાની પૂજા કઈ રીતે કરશો?
જો લાલ વસ્ત્ર પહેરીને મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે તો શ્રેષ્ઠ ફળ મળે છે. માને પણ લાલ ચૂંદડી ઓઢાડવી જોઈએ. સાથે જ લાલ રંગનું ફૂલ અને લાલ ચંદન પણ ચઢાવાય છે. માતાની પૂજામાં ગુલાબ, અક્ષત, લવિંગ, કપૂર જેવી સામગ્રી વાપરવી જોઈએ. બને તો એક ચોકી જેવું બનાવી, ઉપર સાફ કપડું પાથરીને એના પણ મા ચંદ્રઘંટાની મૂર્તિની સ્થાપના કરવી. પૂજા દરમિયાન લેવા ધારેલા સંકલ્પ લઇ શકાય. માતાને ગંગાજળ અને/અથવા પંચામૃત, એટલે કે દૂધ, દહીં, ઘી, મધ ને પાણીમા સ્નાન કરાવવું. સાથે જ મીઠાઈ અને ફળોનો ભોગ ધરાવી શકાય. આ સાથે દૂધ અને દુધની વાનગીઓનો ભોગ પણ ધરાવી શકાય છે.
પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ :
"ऐश्वर्य यत्प्रसादेन सौभाग्य-आरोग्य सम्पदः।
शत्रु हानि परो मोक्षः स्तुयते सान किं जनै॥"
મંત્રનો જાપ કરતી સમયે રુદ્રાક્ષ અથવા લાલ ચંદનની માળાનો ઉપયોગ કરવો લાભપ્રદ છે.
મા ચંદ્રઘંટાનું ધ્યાન ધરવા માટે નીચેનો ધ્યાનમંત્ર પણ ઉપયોગી છે :
पिण्डज प्रवरारूढ़ा चण्डकोपास्त्रकैर्युता।
प्रसीदम तनुते महयं चन्द्रघण्टेति विश्रुता।।
મા ચંદ્રઘંટાની ઉપાસનાનું ફળ
જે ભક્ત ભાવપૂર્વક જગદંબાના આ ત્રીજા સ્વરૂપની પૂજા કરે છે એના આધી, વ્યાધી અને ઉપાધી શમી જાય છે. જીવનનો માર્ગ ચંદ્ર જેવો શીતળ બની રહે છે. જેમ માતા ક્યારેય પોતાના સંતાનોનું અહ્ત થવા દેતી નથી, એમ મા ચંદ્રઘંટા પણ ક્યારેય પોતાના સાધકોનું અહિત થવા દેતી નથી.